પૂર્વજોની મિલકતમાં દસ્તાવેજ કે નોંધણી વિના મૌખિક રીતે હિસ્સો જતો કરી શકાય : બોમ્બે હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સંયુક્ત પરિવારોની મિલ્કતો સંદર્ભમાં હાઈકોર્ટનો ચુકાદો
હિસ્સો છોડયાનું સંબધિત સહમાલિકે સાબિત કરવું પડેઃ ફક્ત મહેસૂલી રેકોર્ડમાંથી બાદબાકી ન ચાલે
Family Property Controversy and Court Order : બોમ્બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે એક સહ-માલિક લેખિત દસ્તાવેજ બનાવ્યા વિના અથવા તેની નોંધણી કરાવ્યા વિના, બીજા સહ-માલિકના પક્ષમાં પોતાના પૂર્વજોની મિલકતમાં પોતાનો હિસ્સો મૌખિક રીતે છોડી શકે છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ત્યાગનો દાવો કરનાર વ્યક્તિએ આ બાબત સાબિત કરી આપવાની રહેશે. ફક્ત મહેસૂલ રેકોર્ડમાંથી સહ-માલિકનું નામ કાઢી નાખવા માટે તૈયાર કરાયેલા દસ્તાવેજ પરથી તે ગ્રાહ્ય લેવાશે નહીં.
ન્યાયાધીશ સંદીપ વી. માર્ને એક વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી બીજી અપીલની સુનાવણી કરી રહ્યા હતા જેમાં તેમણે પોતાની બહેનને પૈતૃક મિલકતમાં એક તૃતીયાંશ હિસ્સો આપવાના નિર્ણયને પડકાર્યો હતો. બહેન મૌખિક રીતે આ મિલ્કતના અધિકારો છોડી દીધા હોવાનો દાવો તેણે કર્યો હતો.
કોર્ટે ઠરાવ્યું કે અન્ય સહ-પરિવારની મિલકતોમાં હિતના ત્યાગના પુરાવા માટે લેખિત દસ્તાવેજ અથવા તેની નોંધણી કરવી હંમેશા જરૃરી નથી. આવો ત્યાગ મૌખિક રીતે પણ કરવાનો ઇરાદો વ્યક્ત કરીને કરી શકાય છે. જોકે, આ ફક્ત સંયુક્ત પરિવારની મિલકતોમાં હિસ્સો મેળવવાના અધિકારના ત્યાગ પૂરતો મર્યાદિત રહેશે અને બિન-વસિયત ઉત્તરાધિકારી દ્વારા સ્વ-પ્રાપ્ત મિલકતમાં હિસ્સા સંબંધે લાગુ રહેશે નહીં,એમ કોર્ટે ટિપ્પણી કરી હતી.
મહેસૂલ રેકોર્ડમાંથી પ્રતિવાદીનું નામ કાઢી નાખવા માટે કરવામાં આવેલા સોગંદનામાંથી મૌખિક ત્યાગની ધારણા થઈ શકે છે કે કેમ તે બીજા પ્રશ્ન પર, કોર્ટે નોંધ્યું કે સોગંદનામામાં કોઈપણ મૌખિક ત્યાગનો કોઈ સંદર્ભ નથી. તેમાં ફક્ત મહેસૂલ રેકોર્ડમાંથી તેનું નામ કાઢી નાખવા માટે તેની સંમતિ નોંધવામાં આવી હતી. માત્ર સંમતિ... નો અર્થ એ નથી કે તે ત્યાગ કરવાનો ઇરાદો ધરાવતી હતી,એમ કોર્ટે અવલોકન કર્યું હતું.
ત્રીજા પ્રશ્ન પર, કોર્ટે ઠરાવ્યું કે પ્રતિવાદીએ તેમના પિતરાઈ ભાઈને ગેટ નં. 28 ફાળવવા માટે સંમતિ આપી હતી, જે પૂર્વજોની મિલકતમાં પોતાનો હિસ્સો છોડી દેવા સમાન નથી. બીજા સહ-ભાગીદારનો હિસ્સો સ્વીકારવો એ સંયુક્ત કુટુંબની મિલકતમાં પોતાનો હિસ્સો છોડી દેવાથી અલગ ખ્યાલ માનવામાં આવ્યો. આમ, કોર્ટે ત્રીજા પ્રશ્નનો જવાબ આપ્યો કે અલગ એકમનો ભાગ બનાવતા સહ-ભાગીઓમાંથી એકની તરફેણમાં પૈતૃક મિલકતમાં હિસ્સો ફાળવવા માટે માત્ર સંમતિ દર્શાવવી આપમેળે દાવેદારના પોતાના એકમના હિસ્સામા આવતી મિલકતમાં હિસ્સો છોડી દેવાની અભિવ્યક્તિ સમાન નથી. તેથી, કોર્ટને વાંધાજનક આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નહીં, અને બીજી અપીલ ફગાવી દેવામાં આવી હતી.




