લાલબાગચા રાજાના દર્શન સમયે હૃદયરોગના હુમલાથી પુણેના યુવકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumabi Pune youth Died : ગણેશોત્સવ દરમિયાન દક્ષિણ મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન માટે લાઈનમાં રાહ જોતી વખતે ૨૫ વર્ષીયનું યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ, પુણેનો રહેવાસી પચ્ચીસ વર્ષીય જયદીપ નેમાડે પોતાના મિત્રો સાથે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં દર્શન કરવા માટે મુંબઈ આવ્યો હતો. જો કે, ગુરુવારે રાત્રે લગભગ ૧૧.૪૦ વાગ્યે, લાઈનમાં ઉભો હતો. ત્યારે જયદીપને છાતીનો દુઃખાવો થતા અસ્વસ્થતા અનુભવી હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી.
જયદીપે તેના મિત્રોને આ અંગે જાણ કર્યા પછી, તેના મિત્રોએ તરત જ તેને લાઈનમાંથી બહાર કાઢયોે હતો. આ ઘટના ધ્યાનમાં આવતા જ પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી હતી અને તેને તબીબી સહાય માટે નજીકના હેલ્પ ડેસ્ક પર ખસેડયો હતો. તેની હાલત ગંભીર જણાતાં ગણેશોત્સવ મંડળે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, તબીબી તપાસ દરમિયાન જયદીપને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોસ્ટમોર્ટમ પછી, જયદીપના મૃતદેહને જળગાંવ મોકલવામાં આવ્યો હતો. આ બાદ શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જયદીપને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હોવાની આશંકા છે. જોકે, તેના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણી શકાશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કે શંકા વ્યક્ત કરવામાં આવી નથી. પોલીસ હાલમાં આ કેસની વધુ તપાસ કરી રહી છે.




