Mumbai

પોલીસે વિદ્યાર્થિનીને ખોટી ફરિયાદની ફરજ પાડી પ્રિન્સિપાલને ધમકાવી 7 લાખ પડાવ્યા

By GS Team
10 Apr 20262 mins read
પોલીસે  વિદ્યાર્થિનીને ખોટી ફરિયાદની ફરજ પાડી પ્રિન્સિપાલને ધમકાવી 7 લાખ પડાવ્યા

પુણેની કોલેજનાં મહિલા પ્રિન્સિપાલને અપહરણ કેસમાં  સંડોવવા ત્રાગડો

ગુનો દાખલ નહિ કરવા દસ લાખ માગ્યા પછી સાત લાખમાં પતાવટઃ નવ મહિના બાદ  વિદ્યાર્થિનીએ પોલીસ કમિશનરને મળી સત્ય જણાવતાં ભાંડો ફૂટયો

મુંબઈ -  પુણેનાં શિવાજીનગર પોલીસ મથકના ત્રણ કર્મચારીઓએ એક કોલેજના મહિલા પ્રિન્સિપાલને તેમણે કોલેજની એક વિધાથનીએ અપહરણની ફરિયાદ નોંધાવી હોવાનું કહી તેમને પોક્સો ગુનાની ધમકી આપીને  ૭ લાખ રૃપિયાની ખંડણી વસૂલ કરી  હોવાનો ગુનો દાખલ થયો છે. આ ઘટના ૧૮ જુલાઈથી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન બની હતી. 

 ગત વર્ષના ૧૮ જુલાઈથી ૨૮ જુલાઈ વચ્ચેની આ ઘટના દરમિયાન તાજેતરમાં સંબંધિત વિધાથનીએ પોલીસ કમિશનર અમિતેશ કુમારને મળીને  પોતાને ખોટી અરજી કરવા  દબાણ કરાયું હોવાનો દાવો કર્યો હતો.  પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને આ મામલાની તપાસ કરવા  જણાવતાં તેની તપાસાં આ ઘટસ્ફોટ થયો છે. 

જે પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમના નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજિત બડે, માર્શલ સોનાલી હિંગે અને પોલીસ અમલદાર સુદામ તાયડે છે. આ બધા શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. અજિત બડે હવે સાયબર પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. દામિની માર્શલ તરીકે કામ કરતી સોનાલી હિંગે રીલ સ્ટાર તરીક પણ ે પ્રખ્યાત છે.

પુણેની ધનકવાડીમાં રહેતાં પ્રિન્સિપાલે  નોંધાવેલી ફરિયાદ અનુસાર ત્રણ પોલીસ કર્મચાચારીઓએ કોલજમાં જઈ પ્રિન્સિપાલ ને જણાવ્યું હતું કે વિદ્યાથનીએ તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે કે તમે મેટ્રો સ્ટેશન પર બંદૂકની અણીએ તેને કારમાં ખેંચી લીધી હતી. પોલીસ અધિકારીએ તેમની સામે એક કાગળ મૂક્યો હતો. જેમાં વિધાથનીની લેખિત ફરિયાદ હોવાનું જણાયું હતું. આ કાગળ વાંચ્યા પછી, પ્રિન્સિપાલે કહ્યું  હતું કે આ ખોટી વિગતો છે. 

વિધાથની ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોવાથી પોક્સો કેસ નોંધી તમારી ધરપકડ થશે તેવી ધાકધમકી  આપી પતાવટ માટે ૧૦ લાખ માગ્યા હતા. આખરે રકઝક બાદ પ્રિન્સિપાલે  સાત લાખ રુપિયા આપ્યા હતા. 

વિદ્યાર્થિનીએ પોતાને ખોટી ફરિયાદ માટે દબાણ કરાયાનો દાવો કર્યા બાદ  પોલીસે પ્રિન્સિપાલને પૂછતાં તેમણે પોલીસ  કર્મચારીઓએ કેવી રીતે તેમની પાસે પૈસા પડાવ્યા તેની વિગતો આપી હતી. ત્યારબાદ  પોલીસ કમિશનર અમિતેશ કુમારે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ ગુરુવારે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર અશ્વિની જગતાપ આ મામલે તપાસ કરી રહ્યા છે.