નવી ડિમાન્ડ ઃ જેન ઝી માટે લોકલમાં ત્રણ કોચ રિઝર્વ રાખો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સવારે પાંચથી ૧૧ સુધી 'જેન ઝી' માટે કોચ રિઝર્વ
રશ અવર્સમાં ભીડના કારણે વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ-કોલેજ નહીં પહોંચી શકતા હોવાનો દાવો
મુંબઈ - દેશભરમાં ગાજેલાં જેન ઝી આંદોલન વચ્ચે હવે મુંબઈ લોકલમાં વિદ્યાર્થીઓ માટે ત્રણ કોચ અનામત રાખવાની નવી માગણી થઈ છે.
કેન્દ્રીય રેલવે પ્રધાન સમક્ષ રજૂઆત કરાઈ છે કે મુંબઈની ટ્રેનોમાં સવારે રશ અવર્સમાં ઓફિસ ગોઅર્સની ભારે ભીડ હોયચ છે. આથી વિદ્યાર્થીઓ નિર્ધારિત લોકલમાં ડબ્બામાં ચઢી શકતા નથી. અનેક વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ કે કોલેજ પહોંચી શકતા નથી અને તેથી તેમનાં શિક્ષણ પર માઠી અસર પડે છે. આથી રોજ સવારે પાંચથી ૧૧ સુધી દરેક લોકલમાં ત્રણ કોચ ફક્ત વિદ્યાર્થીઓ માટે અનામત રાખવા જોઈએ તેવી માગણી કરાઈ છે.
પશ્ચિમ રેલવેના ચર્ચગેટ-દહાણુ અને મધ્ય રેલવેના સીએસએમટી-ડોમ્બિવલી તથા આસનગાંવ માર્ગ પર આ સેવા શરૃ કરવાની માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ભીડમાં ટ્રેનમાં ચઢવા-ઉતરવામાં મુશ્કેલી પડે છે, દરવાજા પાસેની ભીડથી સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે અને પરીક્ષા વખતે ટ્રેનની ભીડને લીધે વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છ એમ બોરીવલીનાં નગરસેવક તેજસ્વી ઘોષાળકરે જણાવ્યું હતું.
જોકે, આ પ્રસ્તાવના અમલીકરણ અંગે કેટલાક પ્રશ્નો પણ સામે આવે છે. ત્રણ ડબ્બા એટલે લોકલની કુલ ક્ષમતાના પચ્ચીસ ટકા ભાગ જેટલા ડબ્બા વિદ્યાર્થીઓ માટે અનામત રાખવા પડશે, જ્યારે હાલ મહિલાઓ, પ્રથમ શ્રેણી, દિવ્યાંગ મુસાફરો અને સામાન માટે પણ ડબ્બા અનામત છે. વિદ્યાર્થીઓ માટે વધુ ડબ્બા અનામત રાખવાથી સામાન્ય મુસાફરો માટેના ડબ્બા ઘટી શકે છે અને ભીડ વધવાની શક્યતા છે. વિદ્યાર્થી તરીકે કોને ગણવા, ઓળખપત્રની ચકાસણી કોણ કરશે અને નિયમોનું ઉલ્લંઘન થાય તો શું કાર્યવાહી થશે જેવા પ્રશ્નો પણ છે. હાલમાં રેલવે તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.









