Mumbai

કાયદારક્ષકો ખંડણીખોર બને તો નાગરિકોએ નાછૂટકે તાબે થવું જ પડે છેઃ સુપ્રીમ

By GS Team
4 Jun 20262 mins read
કાયદારક્ષકો ખંડણીખોર બને તો નાગરિકોએ નાછૂટકે તાબે થવું જ પડે છેઃ સુપ્રીમ

નાગરિકો સામનો કરે તો પોલીસ વેર વાળે છે  તેવી સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

મુંબઈના  રેલવે સ્ટેશન પર ઝવેરીને લૂંટી લેનારા જીઆરપીના ત્રણ પોલીસકર્મીના આગોતરા જામીન સુપ્રીમ દ્વારા રદ

મુંબઈ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર રાજસ્થાનના એક ઝવેરી અને તેના પરિવાર પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં મુંબઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (જીઆરપી) ના ત્રણ અધિકારીઓને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કર્યા છે.

નાગરિકો પાસે ઘણીવાર ગણવેશધારીઓની ગેરકાયદે માંગણીઓનો સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, એમ અવલોકન કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યુંજ્યારે કાયદા અમલીકરણ કરનારાઓ ખંડણીખોર બની જાય છે, ત્યારે નાગરિક  મૂંઝવણમાં મુકાઈ જાય છે.  જો  નાગરિકો સામનો કરે તો તેમના પર તત્કાળ  વેર વાળવામાં આવે છે. આ સંજોગોમાં નાગરિકો પાસે વર્દીધારી સત્તાવાળા સમક્ષ નમ્રતાપૂર્વક શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

૨૭ મેના રોજ ન્યાયાધીશ સંજય કુમાર અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે  આરોપી પોલીસકર્મીઓ - રાહુલ દત્તા ભોંસલે, લલિત રામચંદ્ર જગતાપ અને અનિલ સીતારામ રાઠોડને ધરપકડ પૂર્વે જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ  કર્યો હતો. કોર્ટે કહ્યું કે  બોમ્બે હાઈકોર્ટે  આરોપીઓને આગોતરા જામીન આપતી વખતે ઝારખંડ રાજ્ય વિરુદ્ધ સંદીપ કુમાર કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ અંગે સુપ્રીમ કોર્ટની અગાઉની ચેતવણીને અવગણી હતી.

મૂળ ઘટના મુજબ ઓગસ્ટ ૨૦૨૫માં મુંબઈ સેન્ટ્રલ પર રાજસ્થાનના એક ઝવેરી તેની પુત્રી તથા પિતરાઈ ભાી સાથે વતન જઈ રહ્યા હતા ત્યારે રેલવે પોલીસ કર્મચારીઓએ તેમની ઝડતી લીધી હતી. તેમની પાસેથી મળેલા ૧૪ ગ્રામ સોના તથા ૩૧૯૦૦ રોકડ અંગે યોગ્ય ખુલાસો કરવા છતાં આરોપીઓએ તેમને ડરાવી  ધમકાવી પૈસા પડાવ્યા હતા.

સપ્ટેમ્બર ૨૦૨૫ માં હાઇકોર્ટે  પોલીસ કર્મચારીઓને આગોતરા  જામીન મંજૂર કર્યા હતા.જોકે, હાઈકોર્ટે સુપ્રીમમાં આ આદેશને પડકાર્યો હતો, અને દલીલ કરી હતી કે ગણવેશધારી કર્મચારીઓ દ્વારા આવા વર્તનને સહન કરી શકાય નહીં. રાજ્યના વકીલ, એડવોકેટ ભરત બાગલાએ દલીલ કરી હતી કે ફોજદારી ટ્રાયલ માટે ઉચ્ચ ધોરણના પુરાવાની જરૃર હોય છે અને તેથી પોલીસકર્મીઓની કસ્ટડીમાં પૂછપરછ જરૃરી છે.

સર્વોચ્ચ અદાલતે તેમની દલીલ સ્વીકારી, અને સીસીટીવી ફૂટેજ પર હાઇકોર્ટના નિર્ભરતા પર પ્રશ્ન ઉઠાવ્યો, નોંધ્યું કે અટકાયત કરાયેલા લોકોના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાતા નહોતા. અટકાયતમાં લેવાયેલા વ્યક્તિઓ સાથે રહેલા બાળક પ્રત્યે પોલીસકર્મીઓ દ્વારા  દર્શાવાયેલી  બિનસંવેદનશીલતા પણ બહુ ચિંતાજનક છે એમ સુપ્રીમે પોતાના  આ આદેશમાં નોંધ્યું હતું.