Gujarat

મહેસાણા પાલિકામાં મિલકત ધારકોએ રૂ.55.46 લાખ જમા કરાવ્યા

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
મહેસાણા પાલિકામાં મિલકત ધારકોએ રૂ.55.46 લાખ જમા કરાવ્યા

મહેસાણા, તા.16

મહેસાણા નગરપાલિકા દ્વારા સરકારની પ્રોત્સાહક વળતર યોજના હેઠળ નગરપાલિકામાં અત્યારસુધીમાં કુલ ૩૦૮ બાકીદારોએ વેરાની ભરપાઈ કરી હતી. જેમાં બાકીદારોને કુલ રૃ.૧૨.૫૫ લાખ પેનલ્ટી માફ કરવામાં આવી હતી. નગરપાલીકાની તિજોરીમાં આજ સુધીમાં કુલ રૃ.૫૫.૪૬ લાખની આવક નોંધાવા પામી હતી.

મહેસાણા નગરપાલિકા દ્વારા મિલકતધારકો પાસેથી બાકી વેરા પેટે આશરે રૃ.૨૭ કરોડની વસુલાત કરવાની બાકી છે. જેમાં રૃ.૮.૫૦ કરોડ તો બાકીદારો પાસેથી પેનલ્ટી વસુલવાની થાય છે. દરમિયાનમાં સરકારની આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ શહેરના વેરા વસુલાતમાં બાકીદારોને પેનલ્ટી માફ કરવામાં આવી હતી. આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ તા.૪/૩/૨૦૨૨થી  આજ તા.૧૬/૩/૨૦૨૨ સુધીમાં કુલ ૩૦૮ મિલકતધારકોએ યોજનાનો લાભ લીધો હતો. જેથી નગરપાલિકાને આજ સુધીમાં કુલ રૃ.૫૫,૪૬,૦૬૪ના વેરા વસુલાતની આવક થવા પામી હતી. જ્યારે કુલ રૃ.૪૨,૯૦,૮૮૫ બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી. આ વેરા રિકવરીમાં મિલકતધારકોને કુલ રૃ.૧૨,૫૫,૦૬૦ ની પેનલ્ટી માફીનો લાભ આપવામાં આવ્યો હતો. આમ, છેલ્લાં ૧૨ દિવસમાં જ નગરપાલિકાની તિજોરીમાં અડધા કરોડથી વધુ રકમની આવક ઠલવાઈ હતી.