મહીસાગરમાં મેઘતાંડવ: લુણાવાડામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા, 300 લોકોનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahisagar Rain: મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં મંગળવારે(11 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે લુણાવાડાના સુવા ગામમાં વૈદ્યના ત્યાં દવા લેવા આવેલા અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. સમગ્ર મામલે તંત્રને જાણ થતાં મહીસાગર પોલીસ દ્વારા ફસાયેલા 300 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

લુણાવાડામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા
મહીસાગર જિલ્લા ધોધમાર વરસાદી માહોલમાં ફસાયેલા લોકોના વહારે મહીસાગર પોલીસ આવી હતી. લુણાવાડામાં અતિભારે વરસાદથી સુવા ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. તેવામાં ગામના વૈદ્યને ત્યાં દવા લેવા માટે અન્ય જિલ્લામાંથી આવેલા 300 જેટલાં લોકો ફસાયા હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.


300 લોકોનું રેસ્ક્યૂ
સુવા ગામના નાયક ફળિયામાં પણ રહેતા 28 જેટલાં લોકોની સાથે-સાથે ફસાયેલા પશુઓને પણ બચાવી લેવાયા હતા. ધોધમાર વરસાદથી સુવા ગામમાં જવાના તમામ માર્ગો બંધ થઈ ગયા હતા. જેને પગલે દવા લેવા આવેલા અન્ય જિલ્લાના લોકો ફસાયા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્રનો રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે.



લુણાવાડા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં કોતર પર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેક્ટર પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.










