Magazines

શંકર-પાર્વતી વાર્તાલાપ

By GS Team
8 Nov 20193 mins read
This article was originally published on 8 Nov 2019
શંકર-પાર્વતી વાર્તાલાપ

હે મહાદેવજી, જો હું પૃથ્વી પર જવાનું બંધ કરી દઉં તો સમસ્ત વિશ્વ પાપથી ભરાઇ જશે અને એ પાપનો ભાર આ ધરતી ઉપાડી શકશે નહિ

એકવાર મહાદેવજી અને પાર્વતીજી બરફ આચ્છાદિત હિમાલય પર્વત પર બેઠા હતા. બંને જણા પોતાના પુત્રો કાર્તિકેય અને ગણેશ વિષે વાતો કરી રહ્યાં હતાં.

મહાદેવજીએ પૂછયું, 'હે દેવી પાર્વતી, ગણેશજી અવનિ પર ગયાં છે, તે ત્યાંથી પાછા આવી ગયાં કે નહિ ?'

પાર્વતીજી બોલ્યા, 'હે નાથ, ગણેશજી અવનિ પર દસ દિવસ રોકાશે પછી આવશે.'

મહાદેવજીએ પૂછયું, 'દર વર્ષે ગણેશ ગણેશ ચતુર્થીના દિવસે અવનિ પર શા માટે જાય છે ?'

હિન્દુ ધર્મ પ્રમાણે સંસારના બધા જ શુભકાર્યો ગણેશના નામથી શરૂ થાય છે એ વાત તો આપ ખૂબ સારી રીતે જાણો છોને.... પૃથ્વી પર ગણેશના ભક્તો ગણેશના અલૌકિક, અદ્ભૂત અને દૈદિપ્યમાન સ્વરૂપને નિહાળવા માંગે છે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય તો ઘરની સજાવટ સાથે બધી ખરીદી અને તૈયારી થાય છે, તેવી જ તૈયારી ગણેશના સ્વાગત માટે તેના ભક્તો કરે છે.

ગણેશ માટે જાતજાતના પકવાન તૈયાર થાય છે. ગણેશની રોજ પૂજા અને આરતી કરે છે. આપણા ગણેશને ભક્તો 'વિઘ્ન હર્તા' માને છે અને સાચા દિલથી વિઘ્ન, સંકટના નાશ માટે પ્રાર્થના કરે છે. ભક્તોની તૈયારી, આમંત્રણ અને દિલના ભાવને માન આપવા ગણેશે જવું જ પડે. જો ગણેશ ન જાય તો ભક્તો ભાંગી પડે.'

મહાદેવ બોલ્યા, 'હે દેવી, આવા પનોતા, મહાન પુત્રને પામીને આપણે તો ધન્ય બની ગયા. પુત્ર ગણેશ તો પાછો આવશે, પરંતુ તમે હવે કઇ તૈયારીમાં લાગી ગયા છો ?'

પાર્વતીજી બોલ્યા, 'હે નાથ, આસો મહિનામાં હું પૃથ્વી પર જવાની તૈયારી કરું છું. પુત્ર ગણેશ પૃથ્વી પર બધું મંગલમય કરીને પાછો આવશે. પરંતુ હજુ એક મોટું કામ કરવાનું બાકી છે. હું માતા છું. લોકો મને શક્તિરૂપે, દુર્ગા અને કાલિકારૂપે જુએ છે. મારા રૂપ અનેક છે, પણ હું પૃથ્વી પરના બાળકોની માતા છું. મને બોલાવવા માટે મારા બાળકો ઉપવાસ, ઉપાસના હોમહવન કરે છે. મારા સ્વાગતની ભવ્ય તૈયારી કરે છે. ધરતી પર જે પાપ અને માનવરૂપી દૈત્ય ફેલાઇ રહ્યાં છે, તેનો નાશ કરવા જુદા જુદા સ્વરૂપે મારે જવું જ પડે.

હે મહાદેવજી, જો હું પૃથ્વી પર જવાનું બંધ કરી દઉં તો સમસ્ત વિશ્વ પાપથી ભરાઇ જશે અને એ પાપનો ભાર આ ધરતી ઉપાડી શકશે નહિ. પાપના ભારથી જો ધરા ધુ્રજવા લાગશે તો ? મારું કામ પાપીનો નાશ કરવાનું છે, તેથી ઘણીવાર હું રૌદ્ર સ્વરૂપ ધારણ કરું છું. પૃથ્વી પર મારા બાળકો વસે છે, આમેય બાળકને સજા આપવાનો અધિકાર પહેલાં માતાનો છે. હે દેવ, 'રાવણ દહન' કરીને હું હિમાલય પર પાછી આવી જઈશ.

મહાદેવજી બોલ્યા, 'હે દેવી, તમે સારા કાર્ય માટે પૃથ્વી પર પ્રસ્થાન કરવા માંગો છો, તો હું આપને અવશ્ય જવા દઇશ, રોકીશ નહિ.'