રાણીપ ડેપોમાં બસમાં ચડતાં મહિલાના રૂપિયા 8 લાખના દાગીના ચોરાયા

ભીડમાં ત્રણ મુસાફરોનાં પર્સ ચોરાઈ ગયા
પુત્રીનો લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને મહિલા તેમના પરિવાર સાથે ભત્રીજાના લગ્નમાં પાટણ જતા હતા
અમદાવાદ : રાણીપ એસ.ટી. ડેપો ઉપર ભીડ વચ્ચે ચડી રહેલા મહિલાના 8.40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરાયા છે. ભીડમાં ત્રણ મુસાફરોના પર્સ પણ ચોરાયા હોવાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાવાઈ છે.
સરસપુરમાં રહેતા 51 વર્ષના રમીલાબહેન ઈશ્વરલાલ પટણીના નાના પુત્રી નેહાબહેનના લગ્ન તા. 6ના રોજ યોજવામાં આવ્યા હતા. તા. 31ના રોજ પાટણથી આવ્યા પછી લગ્ન સંપન્ન કરીને ભત્રીજાના લગ્ન માટે પાટણ જવા માટે નીકળ્યા હતા. રમીલાબહેન, પતિ ઈશ્વરલાલભાઈ, પુત્ર, બે પુત્રી પાટણ જવા માટે જમાઈ દિલીપભાઈ પટણીની રિક્ષામાં રાણીપ ડેપો આવ્યા હતા.
સવારે 10 વાગ્યા આસપાસ અમદાવાદથી પાટણ જતી બસમાં ચડતી વખતે પેસેન્જરોની ખૂબ ભીડ હતી. આ સમયે રમીલાબહેનને ખભે ભરાવેલા બેગની ચેઈન ખુલ્લી જોવા મળી હતી. શંકા જતા રમીલાબહેને તરત જ બેગમાં તપાસ કરી તો પ્લાસ્ટીકની થેલીમાં મુકેલા સોના - ચાંદીના દાગીના જોવા મળ્યા નહોતા.
રાણીપ ડેપો ઉપર ભીડમાં કોઈ ગઠિયો કુલ 28 તોલા, 8.40 લાખની કિંમતના સોનાના તેમજ 1010 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 8.75 લાખની કિંમતના દાગીના ચોરી ગયાની ફરિયાદ નોંધાવાઈ છે. રમીલાબહેન ઉપરાંત અન્ય બે-ત્રણ પેસેન્જરના પર્સ ચોરાયાની ફરિયાદ અંગે વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.




