Gujarat

ડબલ સિઝનથી વાયરલ ફિવરના કેસમાં ૪૦%નો વધારો

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
ડબલ સિઝનથી વાયરલ ફિવરના  કેસમાં ૪૦%નો વધારો

અમદાવાદ,મંગળવાર

અમદાવાદમાં હાલ મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરના ગરમથી ડબલ સિઝન અનુભવાઇ રહી છે. ડબલ સિઝનને લીધે છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ફિવર, શરદી-ખાસીના કેસમાં ૪૦% સુધીનો ચિંતાજનક વધારો થયો છે.

અમદાવાદમાં હાલ રાત્રિનું લઘુતમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રીની આસપાસ હોય છે જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીથી વધી ગયું છે. આમ, મિશ્ર ઋતુથી વાયરલ ફિવરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોના મતે છેલ્લા એક સપ્તાહથી વાયરલ ફિવર, શરદી-ખાંસીના દર્દી વધી ગયા છે. વાયરલ ફિવરમાં મોટાભાગના દર્દીને પ્રથમ દિવસે ૧૦૨-૧૦૩ ડિગ્રી સુધીનો તાવ આવે છે. આ પછી ગળામાં દુઃખાવો, ગળામાં ખરાશ, શરદી-ખાંસી સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડોક્ટરોનું માનવું છે કે, તાવ આવે તો સૌપ્રથમ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જોઇએ. જેનાથી દર્દીને કોરોનાના લક્ષણ હોય તો તે આઇસોલેટ થઇને પોતાના પરિવારમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકે.

કોરોના બાદ લોકોમાં હવે જાતે જ પોતાની રીતે દવા લેવાનું પ્રમાણ વધી ગયું છે તે યોગ્ય નથી એમ જણાવતા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મેહુલ શેલતે જણાવ્યું કે, 'સેલ્ફ મેડિકશન નહીં પણ ડોક્ટરોની સલાહ પ્રમાણે જ દવા લેવી હિતાવહ છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હાડકામાં દુઃખાવો, રેશિસ પડવા, ગળામાં દુઃખાવો રહેવો જેવી સમસ્યા પણ વધારે જોવા મળી રહી છે. હાલમાં પ્રત્યેકે શક્ય તેટલું વધારે પાણી પીવું જોઇએ, દિવસમાં એકવાર નાસ કરવી જોઇએ અને બહારનું ભોજન ગરમ  હોય તો જ લેવું જોઇએ. '