Gujarat

વિનોબાભાવેનગર સ્મશાનગૃહ છેલ્લા મહિનાથી બંધ ,લોકો ત્રસ્ત

By GS Team
16 Feb 20221 min read
This article was originally published on 16 Feb 2022
વિનોબાભાવેનગર સ્મશાનગૃહ છેલ્લા મહિનાથી બંધ ,લોકો ત્રસ્ત

અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2022, બુધવાર

વિંઝોલ પાસે આવેલા વિનોબાભાવેનગરના સ્મશાનગૃહની આજુબાજુ ખોદકામ થઇ જતા સ્થાનિક લોકો અંતિમ સંસ્કારની વિધી માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિનોબાભાવેનગર અને વિવેકાનંદનગરને જોડતા ઓવરબ્રિજનું કામ અહીંયા ચાલી રહ્યું છે જે ખોદકામ બાદ છેલ્લા એક માસથી બંધ હોવાથી આ હાલાકી સર્જાઇ છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલો આ ઓવરબ્રિજ છેલ્લા એક માસથી યથાસ્થિતિમાં પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર પેમેન્ટની માથાકુટને લઇને કામ અધુરૂ પડતું મુકીને જતો રહ્યો હોવાનું  સ્થાનિક પુછપરછમાં જાણવા મળી રહ્યું છે.

હાલ સ્થિતિ એ છેકે ઓવરબ્રિજ માટે વિનોબાભાવે નગર સ્મશાનગૃહની આજુબાજુમાં મોટાપાયે ખોદકામ કરી દેવાયું છે. જેના કારણે ડાઘુઓે સ્મશાનગૃહ સુધી જઇ શકતા નથી. તેઓએ ખારી નદીના પટમાં  અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે અથવા નજીકમાં આવેલા સ્મશાનગૃહોમાં જવું પડી રહ્યું છે. ખોખરા-હાટકેશ્વર અને દૂધેશ્વર સ્મશાનગૃહ સુધી લાંબા થવું પડી રહ્યું છે.

રહીશોની માંગણી છેકે તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજના કામગીરી હાથ ધરાય તેવી વ્યવસ્થા મ્યુનિ.તંત્ર દ્વારા કરાવી જોઇએ. સ્થાનિકો સ્મશાનગૃહ સુધી જઇ શકે તેવા કામચલાઉ રસ્તાની પણ હાલ વ્યવસ્થા કરી આપવી જોઇએ.