Gujarat

બાળકોને વેક્સિનઃ આરોગ્ય-શિક્ષણ વિભાગની કોમન પોલીસી બનશે

By GS Team
28 Dec 20211 min read
This article was originally published on 28 Dec 2021
બાળકોને વેક્સિનઃ આરોગ્ય-શિક્ષણ વિભાગની કોમન પોલીસી બનશે

અમદાવાદ

કેન્દ્ર સરકાર દ્વારા ૧૫થી૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દેવાઈ છે અને ૩જી જાન્યુઆરીથી રસીકરણ શરૃ થવાનુ છે ત્યારે ગુજરાતમાં ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની કોમન પોલીસી નક્કી કરાશે.જે અંતર્ગત નિશ્ચિત કાર્યક્રમ નક્કી કરી રસીકરણ કરાશે.

૧૮ વર્ષથી ઉપરના વયસ્ક લોકોને અર્બન હેલ્થ સેન્ટરો પર રસી આપવામા આવી હતી ત્યારે ૧૫થી૧૮ વર્ષ સુધીના બાળકોને રસી કઈ રીતે અપાશે તે હજ સુધી જાહેર કરાયુ નથી.પરંતુ કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ ચોક્કસ ગાઈડલાઈન નક્કી થશે.આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે આવતીકાલે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગની બેઠક મળશે.જેમાં એક ચોક્કસ ગાઈડલાઈન નક્કી કરાશે.એક-બે દિવસમાં જાહેરાત કરવામા આવશે.આરોગ્ય વિભાગના અધિકારી ઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠકમાં રસીકરણ અંગે વિવિધ મુદ્દા ચર્ચાશે.

ખાસ કરીને ૧૫થી૧૮ વર્ષના બાળકો ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓ કહી શકાય પરંતુ ઘણા પણ એવા બાળકો હશે કે જેઓ હાલ સ્કૂલોમાં ભણતા નથી ત્યારે વિદ્યાર્થીઓ હોય તેઓને અને વિદ્યાર્થીઓ ન હોય તેવા બાળકોને કઈ રીતે રસી આપવી તે મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન નક્કી થશે.બાળકોનુ પ્રી રજિસ્ટ્રેશન કરવુ કે સ્કૂલોમાં જ રસીકરણ કરાવવુ તે અંગે પણ હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.મહત્વનું છે કે માર્ચમા ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે ધો.૧૦ અને ૧૨ના ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ કે જેઓનુ સંપૂર્ણ રસીકરણ થાય તે સરકારની પ્રાથમિકતા હશે.