Gujarat

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાંની આગાહી , ખેડૂતોની ચિંતામાં વધારો

By GS Team
15 Nov 20212 mins read
This article was originally published on 15 Nov 2021
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાંની આગાહી , ખેડૂતોની ચિંતામાં વધારો

અમદાવાદ, સોમવાર

ખેડૂતો દ્વારા રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં હવે તેમના માટે ચિંતાના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી ૩ દિવસ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ઉત્તર અરેબિયન સમુદ્ર અને તેની આસપાસ લો પ્રેશર છવાયું છે. જે આગામી ૪૮ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ વધીને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તરફ આગળ ધપી શકે છે. જે ૧૮ નવેમ્બર સુધી પશ્ચિમ તરફ આગળ ધપવાનું જારી રાખશે. બીજીતરફ કર્ણાટકના દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્ર અને ઉત્તર કેરળના દરિયાઇ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે. જેના પગલે દક્ષિણ મહારાષ્ટ્રના પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં આગામી ૨૪ કલાકમાં હવાનું દબાણ સર્જાઇ શકે છે. આમ, આ બંને સિસ્ટમને પગલે ગુજરાતના અનેક જિલ્લામાં પણ માવઠું પડી શકે છે. '

હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુરુવારે ડાંગ-નવસારી-સુરત-તાપી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર, શુક્રવારે અમદાવાદ-આણંદ-અરવલ્લી-ગાંધીનગર-ખેડા-મહીસાગર-ભરૃચ-નવસારી-સુરત-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-રાજકોટ-દીવ જ્યારે શનિવારે દમણ-દાદરા નગર હવેલી-અમદાવાદ-આણંદ-ખેડા-દાહોદ-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-જુનાગઢ-દીવમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દરમિયાન ગત રાત્રિએ ૧૧.૪ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી ૨૪ કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદ ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાઇ શકે છે.

 

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર         તાપમાન

નલિયા        ૧૧.૪

ડીસા          ૧૪.૯

રાજકોટ       ૧૫.૭

અમદાવાદ    ૧૫.૯

અમરેલી      ૧૬.૦

ભાવનગર     ૧૭.૯

ભૂજ           ૧૮.૨

વડોદરા       ૧૮.૪

સુરત          ૨૦.૮