Gujarat

ફ્રન્ટલાઈન કોરોના વોરિયરમાં સંક્રમણ , કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ૧૨ સફાઈ કર્મચારી કોરોના સંક્રમિત

By GS Team
20 Jan 20222 mins read
This article was originally published on 20 Jan 2022
ફ્રન્ટલાઈન કોરોના વોરિયરમાં સંક્રમણ , કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ૧૨ સફાઈ કર્મચારી કોરોના  સંક્રમિત

    અમદાવાદ,ગુરુવાર,20 જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા ૧૨ સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતા તમામ સંક્રમિત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ નવી સપાટી ઉપર જોવા મળી રહ્યા છે.દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓમાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળતા તંત્ર તરફથી તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.સફાઈ કર્મચારીઓ પૈકી ૧૨ સફાઈ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ કવોરન્ટાઈન કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

છ દિવસમાં ૩૦૪૭ લોકો કોરોના વેકિસન વગરના મળતા પરત મોકલાયા

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કોરોના વેકિસનનો ડોઝ ના લીધો હોય એવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.૧૪ જાન્યુઆરીએ ૮૯૩, ૧૫ જાન્યુઆરીએ ૭૪૮,૧૬ જાન્યુઆરીએ ૬૬૩, ૧૮ જાન્યુઆરીએ ૪૧૭ અને ૧૯ જાન્યુઆરીએ ૩૨૬ લોકો એમ છ દિવસમાં કુલ મળીને ૩૦૪૭ લોકો જેમણે કોરોના વેકિસન લીધી નહોતી તેમને પરત મોકલવામાં આવ્યા હતા.

સંજીવની રથ દ્વારા તેર હજાર ઘરોની મુલાકાત લેવાઈ

શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં ૭૭૩ જેટલા સંજીવની રથ દ્વારા ૧૩ હજાર ઘરોની મુલાકાત લેવામાં આવી છે.ઉપરાંત ધન્વંતરી રથ જે વિસ્તારમાં જાય એ વિસ્તારના કોર્પોરેટરને જાણ કરવાની તંત્રના અધિકારીઓને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સુચના આપવામાં આવી હતી.દરેક ટેસ્ટીંગ ડોમ ઉપર હાલમાં કોરોના ટેસ્ટ માટે ૬૦ કીટ આપવામાં આવે છે અને કયા સી.એચ.સી.સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાશે એ અંગે લોકોને માહિતી મળે એ માટે બોર્ડ મુકવા તંત્રને સુચના આપવામાં આવી હતી.