આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ, અમદાવાદમાં વૃક્ષો રામભરોષે !

અમદાવાદ, તા.20 માર્ચ 2022, રવિવાર
આજે તા.૨૧ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાય છે, પૃથ્વીની આ બધી જાહોજલાલી વનોના પ્રર્તાપે છે, શહેરીકરણ વધી રહ્યું છે, વન ઘટી રહ્યા છે, શહેરોની આજુબાજુના વિસ્તારોમાં તો ગોચર પણ હવે રહ્યા નથી ! અમદાવાદ મેગાસિટી, સ્માર્ટસિટી બની રહી છે, ફક્ત સિમેન્ટ, ક્રોકિટની બિલ્ડીગો ઉભી કરી દેવાથી, ડામર-આરસીસીના રોડ બનાવી દેવાથી, ઝગમગતી સ્ટ્રીટલાઇટો નાંખી દેવાથી શહેર રહેવા લાયક બની નહીં જાય, વૃક્ષો, બાગ-બગીચા, લીલોતરી પણ એટલી જ જરૂરી છે.
અમદાવાદમાં શહેરીકરણના નામે અનેક વૃક્ષો કપાય છે, ફૂટપાથ પરના વૃક્ષો માવજતના અભાવે પડી જાય છે અથવા દુકાનોવાળાઓ વૃક્ષ નડતરરૂપ માનીને તેને કપાવી નાંખતા હોય છે. દર ચોમાસામાં શહેરમાં હજારો વૃક્ષો ધરાશાયી થતા હોય છે. ઉપરોક્ત તસવીર ઓઢવ રોડ પરના ફૂટપાથની છે. જેમાં એક વૃક્ષને આવાજ કારણોસર જળમૂળથી કાપી નંખાયેલું જોઇ શકાય છે.
નવાઇની વાત એ છેકે કાપી નંખાયા બાદ પણ આ વૃક્ષના થળમાં હજુ જીવ છે, નવી ડાળખીઓ, પાંદળાઓ ફૂટી રહ્યા છે. આ વાત ઘણું બધું કહી જાય છે ! શહેરમાં મોટાપાયે થતા વૃક્ષારોપણ ફક્ત ફોટોસેશન કાર્યક્રમ પુરતો સિમીત રહી જાય છે, ત્યાર બાદ વૃક્ષને કોઇ જોવા પણ આવતું નથી. શહેરમાં સુકાઇ ગયેલા અનેક છોડવાઓ તેની સાક્ષી પુરે છે.




