Gujarat

મકાન અને દુકાન ખાલી કરાવવા માટે ધમકી આપનાર માથાભારે ભરવાડો ફરાર

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
મકાન અને  દુકાન ખાલી કરાવવા માટે ધમકી આપનાર  માથાભારે ભરવાડો ફરાર

વડોદરા,આજવારોડ નવજીવન પાસે રહેતા અને વેપાર કરતા નાગરિકોને હેરાન કરી મકાન, દુકાન ખાલી  કરાવી દેવા માટે ડાંગો સાથે ધસી આવી ધમકી આપતા માથાભારે ભરવાડો સામે ગુનો દાખલ થતા તેઓ ઘર છોડીને ભાગી ગયા છે.

વારસિયા રીંગરોડ  પર સુંદરમ સોસાયટીમાં રહેતા રાજેશ ઘનશ્યામભાઇ પારવાણીએ આજવારોડ જનકલ્યાણ સોસાયટીમાં મેં વર્ષ-૨૦૧૮ માં મકાન લીધું હતુ.તે મકાનના રિનોવેશન સમયે  નવઘણ ભોપાભાઇ ભરવાડ તથા ઝાલા ભોપાભાઇ ભરવાડ (રહે.સાગર સ્ટુડિયોની બાજુમાં,આજવારોડ) ડાંગો લઇને આવ્યા હતા.પાછળથી અન્ય ચાર થી  પાંચ લોકો  પણ ડાંગો લઇને આવ્યા હતા.તેઓએ  મકાનની દીવાલ પર ડાંગો પછાડી ધમકી આપતા કહ્યું હતું કે,આ મિલકત ખાલી કરી નાંખો નહીંતર જાનથી મારી નાંખીશ,અમારા વિરૃદ્ધ કેસ કરશો તો તમને ચેનથી જીવવા  દઉં નહી.અમારા પર ઘણા કેસ થયા છે.એક કેસ વધારાનો થશે તો કંઇ ઘટે નહી.હું જેલમાં જઇ આવ્યો છું.

જ્યારે અન્ય એક ફરિયાદ આજવારોડની જનકલ્યાણ સોસાયટીમાં રહેતા હાર્ડવેરના વેપારી મહેશ લક્ષ્મણભાઇ પરમાર તથા  જનકલ્યાણ સોસાયટીમાં રહેતા અને સોસાયટીમાં જય ચામુંડા પ્રોવિઝન સ્ટોર ચલાવતા કલ્પેશ ઉપેન્દ્રભાઇ  પંડયાએ નોંધાવી હતી કે, નવઘણ, ઝાલા, તથા ગોવિંદ ભરવાડ હાથમાં ડાંગો લઇને આવ્યા હતા.તેઓએ મને ધમકી આપી કહ્યું હતું કે,કામ બંધ કરાવી દે,નહીંતર તારા મકાનમાં ઘુસી મકાનનો  કબજો લઇ લઇશું.અને તને જાનથી મારી નાંખીશું.

એકસાથે ત્રણ ત્રણ ફરિયાદો થતા માથાભારે ભરવાડો વિસ્તાર છોડીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.દરમિયાન પી.એસ.આઇ.વાય.એચ.પઢિયારે આ ગુનામાં સામેલ આરોપી રત્ના ભરવાડને ઝડપી પાડયો છે.તેનો કોરોના રિપોર્ટ આવ્યા પછી ધરપકડ કરાશે.