Gujarat

એસવાયબીકોમની પરીક્ષામાં ટેકનિકલ ખામીથી ૭૦૦૦ વિદ્યાર્થીઓ અટવાયા

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
એસવાયબીકોમની પરીક્ષામાં ટેકનિકલ ખામીથી ૭૦૦૦ વિદ્યાર્થીઓ અટવાયા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાયબીકોમની ચાલી રહેલી પરીક્ષામાં આજે સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.

મળતી વિગતો પ્રમાણે એસવાયબીકોમના ત્રીજા સેમેસ્ટરની એન્ડ સેમેસ્ટર પરીક્ષા હાલમાં ચાલી રહી છે.આજે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનુ પેપર હતુ.કોરોનાના કારણે ઓનલાઈન મોડમાં લેવાઈ રહેલી પરીક્ષા સાંજે ચાર વાગ્યાથી શરુ થવાની હતી.જોકે પરીક્ષા શરુ થયા બાદ અડધો કલાક સુધી વિદ્યાર્થીઓ લોગ ઈન જ નહીં થઈ શકતા હોબાળો મચી ગયો હતો.

બીજી તરફ આજે શનિવારની રજાના કારણે પરીક્ષા માટેના હેલ્પ લાઈન નંબરો પણ બંધ હતા.વિદ્યાર્થીઓએ ફરિયાદ ક્યાં કરવી તે પણ સવાલ ઉભો થયો હતો.એક બીજાના વોટસએપ ગૂ્રપમાં પણ પરીક્ષા માટે લોગ ઈન નહીં થવાતુ હોવાના સંદેશાઓનો મારો ચાલ્યો હતો.કેટલાક વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન અને બીજા અધ્યાપકોને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.

ભારે હોબાળા વચ્ચે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા કોમ્પ્યુટર સેન્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ લોગ ઈન નહીં થઈ શક્યા હોવાનુ બહાર આવ્યુ હતુ.એ પછી ટેકનિકલ ખામી દુર કરવામાં આવી હતી.આમ ૪-૩૦ વાગ્યાથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લોગ ઈન કરી શક્યા હતા.

અડધો કલાક વેડફાયો હોવાથી વદ્યાર્થીઓને અડધો કલાક વધારાનો સમય આપવામાં આવ્યો હતો.જેના પગલે ૫-૪૫ વાગ્યે પૂરી થનારી પરીક્ષા ૬-૧૫ સુધી ચાલી હતી.