Gujarat

ત્રીસ વર્ષની નોકરી બાદ પેન્શનની માગણી નકારી શકાય નહીં : સુપ્રીમ

By GS Team
21 Feb 20222 mins read
This article was originally published on 21 Feb 2022
ત્રીસ વર્ષની નોકરી બાદ પેન્શનની માગણી નકારી શકાય નહીં : સુપ્રીમ

અમદાવાદ, સોમવાર

ગુજરાતની એક પોલિટેકનિક કોલેજમાં એડહોક લેક્ચરર તરીકે ફરજ બજાવતા કર્મચારીના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો નોંધ્યો છે કે એડહોક કર્મચારી પાસે ૩૦ વર્ષ સુધી સેવા લીધા બાદ તેની માંગણી સરકાર નકારી શકે નહીં. કર્મચારીને પેન્શન સહિતના મળવાપાક્ષ લાભો આપવાના ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને યથાવત્ રાખી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અપીલ ફગાવી છે.


ભાવનગરની એક સરાકરી પોલિટેકનિક કોલેજમાં વર્ષ ૧૯૮૯માં આ કર્મચારીની નિમણૂક એડહોક લેક્ચરર તરીકે કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૮માં વયનિવૃત્ત થયા હતા. સરકારે તેમને પેન્શન માટેના જરૃરી દસ્તાવેજો રજૂ કરવાનું કહેતા તેમણે જરૃરી દસ્તાવેજો અને દરખાસ્ત કરી હતી. આમ છતાં પેન્શન શરૃ ન થતાં તેમણે સંબંધિત વિભાગમાં રજૂઆત કરી હતી. જ્યાંથી તેમને જવાબ અપાયો હતો કે હેડક્વાર્ટરમાંથી મળેવા માર્ગદર્શન બાદ ધ્યાને આવ્યું છે કે અરજદાર કર્માચરી જરૃરી ભરતી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેમની સેવા એડહોક પ્રકારની જ ગણાય અને તેમને પેન્શનનો લાભ આપી શકાય નહીં. કર્મચારીએ હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં હાઇકોર્ટે પેન્શન સહિતના લાભો આદેશ કર્યો હતો.

જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગત્નાની ખંડપીઠે સરકારની અપીલ ફગાવતા નોંધ્યું હતું કે ૩૦ વર્ષ સુધી સતત સેવા લીધા બાદ કોઇ એડહોક કર્મચારીની પેન્શનની માંગણી નકારી શકાય નહીં. સરકાર પોતાની જ ભૂલમાંથી લાભ મેળવે તે ચલાવી શકાય નહીં.  તેથી હાઇકોર્ટે કર્મચારીની તરફેણમાં આદેશ કરવામાં કોઇ ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું નથી.