પ્રિન્સિપાલ કામ વખાણતા હોવાથી વાતો ફેલાવી શિક્ષિકાને ધમકી : 4 સામે FIR

ઘાટલોડિયામાં આપઘાતનો પ્રયાસ કરનાર શિક્ષિકાની ફરિયાદ
રૂબરૂ કહેવા છતાં વાત નહીં સમજી સાથી શિક્ષક-શિક્ષિકાએ ધમકી આપ્યાનો આક્ષેપ : સિંગલ મધર શિક્ષિકા હવે ભયમુક્ત
અરજી રદ કરવા જાણ કરી હોવા છતાં પુષ્પાબહેન ભીલ અવારનવાર બોલાવીને ધમકાવતા હતા
અમદાવાદ : કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ પોતાના કેટલાક સાથી કર્મચારીઓના ત્રાસથી કંટાળીને અમદાવાદના ઘાટલોડીયામાં ઘેનની વધુ ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરતુ હવે શિક્ષિકા ભયમુક્ત છે. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે, શિક્ષિકાએ ચાર પાનાની ચિઠ્ઠીમાં 12 સાથી કર્મચારીના નામ લખેલા હતા.
જો કે, શિક્ષિકા ભાનમાં આવ્યા પછી સાથે કામ કરતા શિક્ષક, શિક્ષિકા સહિત કુલ ચાર સહકર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રિન્સિપાલ કામ વખાણતા હોવાથી ખોટી વાતો ફેલાવીને ધમકી આપવામાં આવતી હોવાની શિક્ષિકાની ફરિયાદ અંગે ઘાટલોડિયા પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારના આરતી ટેનામેન્ટમાં રહેતા જયશ્રીબેન પોપટભાઈ પટેલ 2011થી કડી તાલુકાના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
આ શિક્ષિકાએ ગત મંગળવારે ઘાટલોડિયા ખાતેના પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. શિક્ષિકાએ લખેલી મનાતી ચાર પાનાની સ્યુસાઈડ નોટમાં કુલ 12 સાથી કર્મચારી સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતા.
મહિલા શિક્ષિકા જયશ્રીબહેનની સ્થિતિ સામાન્ય બનવા લાગતાં ઘાટલોડિયા પોલીસે તેમની વિધિવત ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં મહિલાએ તેમના ચાર સાથી કર્મચારીઓ સામે ધમકી અને મદદગારીની ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે સુનિતાબહેન દશરથભાઈ પટેલ, યોગેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પરેશાબહેન કનૈયાલાલ મોડી અને પુષ્પાબહેન ભીલને દર્શાવવામાં આવ્યા છે.
જયશ્રીબહેન પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગણીત અને વિજ્ઞાાનના શિક્ષિકા જયશ્રીબહેનની કામગીરીથી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ ચંદનગીરી ગોસ્વામી ખુશ છે. પ્રગતિથી ઈર્ષ્યા રાખતાં અમુક શિક્ષિકા બહેનો શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને, ગામના લોકોને પ્રિન્સીપાલ સાથેના સંબંધ બાબતે ખોટી વાતો કરતા તેમજ જયશ્રીબહેન યોગ્ય ફરજ નિભાવતા ન હોવાની વાતો ફેલાવતા હતા.
મેડા આદરજ ગામના ભરતભાઈ કાન્તીલાલ પટેલ અને રામભાઈ બળદેવભાઈ પટેલે જિલ્લા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ ખોટી હકીકત જણાવતી અરજી કરાવી હતી. ખોટી વાત નહીં કરવા જણાવ્યા છતાં સુનિતાબહેન, યોગેશભાઈ અને પરેશાનબહેન આ ત્રણ શિક્ષિકોએ આ પ્રવૃતિ ચાલુ રાખી હતી.
આવી વાત નહીં કરવા પંદર દિવસ પહેલા ફરી વખત કહેતા ત્રણેય ગાળો આપી કહ્યું હતું કે, આક્ષેપો કરશો તો જાનથી મારી નાંખીશું. શિક્ષિકા જયશ્રીબહેન સામેની અરજી રદ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિને લેખિત જાણ કરી હોવા છતાં ટીપીઈઓ પુષ્પાબહેન ભીલ (રહે. કલોલ) અવારનવાર બોલાવીને ધમકાવતા હતા. અરજી બાબતે જવાબ નહીં સ્વિકારીને પુષ્પાબહેને બરતરફ કરવાની ખોટી ધમકી આપી હતી.
સાથે નોકરી કરતા શિક્ષકોએ વાતચિત કરવાનું બંધ કરી દીધું હતું. આ બધા કારણોસર વિચારવાયુએ ચડી જતાં ડોક્ટરે આપેલી ઊંઘની દવાની 20 ટીકડી ગળી લીધી હતી અને ડિપ્રેશનમાં આવી સ્યુસાઈડ નોટ લખી હતી તેમ ફરિયાદમાં જણાવાયું છે. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે, સાથી શિક્ષકો અને અધિકારી સામે ધમકી આપવા અંગે ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




