Gujarat

અમદાવાદ એરપોર્ટ પર બિઝનેસમેન માટે 'સ્પેશિયલ' વ્યવસ્થા !

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
અમદાવાદ એરપોર્ટ પર બિઝનેસમેન માટે 'સ્પેશિયલ' વ્યવસ્થા !

- યુરોપથી આવેલ બિઝનેસમેનના ચાર્ટર્ડ વિમાન માટે કલાક પહેલા રન-વે ઓપન કરાવાયો 

- મેડિકલ ઇમરન્સી ન હોવા છતાં સ્પેશિયલ કેસમાં રન-વે ઓપન કરવા નિયમનો ભંગ થયો છે કેમ તે અંગે જોરશોરથી ચર્ચા 

અમદાવાદ : એરપોર્ટ પર રન-વે રિશરફેસની કામગીરીને લઇ રન-વે સવારે 9 થી 6 કલાક બંધ રાખવામાં આવે છે કોઇ ફલાઇટમાં ટેકનીકલ કે મોડી પડી હોય તેવા કેસમાં જ રન-વે વધુ 15 મિનિટ ઓપન રાખવામાં આવે છે પરંતુ આજે યુરોપથી આવેલા એક બિઝનેસમેનના વિમાનના ટેકઓફ માટે અમદાવાદ એરપોર્ટ પર રન-વે કલાક પહેલા ખોલી દેવામાં આવ્યો હતો. 

અમદાવાદ એરપોર્ટ આજે યુરોપથી ચાર્ટર્ડ લઇને આવેલા એક બિઝનેસમેન માટે રન-વે બંધ હોવા છતાં ટેકઓફ માટે સ્પેશિયલ કેસમાં ઓપન રાખવા એરપોર્ટ તંત્રને ફરજ પડી હતી. જો કે કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોવા છતાં એક મિટિંગ અર્થે પેરિસથી અમદાવાદ આવેલા બિઝનેસમેનના એરક્રાફટ માટે રન-વે સ્પેશિયલ ઓપન કરવા માટે કોઇ નિતી- નિયમનો ભંગ થયો છે કે કેમ?  તે અંગે એરપોર્ટ પર જોરશોરથી ચર્ચા ચાલી હતી. 

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનાવવામાં આવેલા જનરલ એવિએશન ટર્મિનલ પર યુરોપના પેરિસ શહેરમાંથી એક બિઝનેસમેન સહિત ત્રણ સભ્યોની ટીમ સાથે બે કેપ્ટન અને એક ક્રુ મેમ્બર સહિત 6 મુસાફરો આજે  સવારે આઠ વાગે ચાર્ટર્ડ ફલાઇટથી અમદાવાદ આવ્યા હતા. જો કે ત્યારબાદ સવારે 9 થી સાંજે 6 કલાક દરમિયાન રન-વે રિકાર્પેટીંગને પગલે બંધ કરી દેવામાં આવ્યો હતો. 

આ બિઝનેસમેનને મિટીંગ પૂર્ણ કરી અમદાવાદથી પરત પેરિસ જવા રવાના થવાનું હતું. પરંતુ રન-વે સાંજે વાગે ઓપન થવાની રાહ જોવાય તેમ ન હતી, જેથી તેમના એરક્રાફટને પ્રાયોરોટિ ધોરણે ટેકઓફ કરાવવા માટે આજે બપોરે પાંચ વાગે રન-વે ઓપન કરાવાયો હતો તેમના વિમાનના ટેકઓફ કરાવ્યા બાદ પુન: બંધ કરી રિ-કાર્પેટીંગનું કામ આગળ વધારાયું હતું. રન-વે નોટમ જાહેર કરાયા બાદ અધ વચ્ચે રન-વે ઓપન કરાયો હોય તેવું પ્રથમ વખત બન્યુ છે. વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ કે આ બિઝનેસમેને  રન-વે નોટમના સમય દરમિયાન તેમના વિમાનના ટેકઓફ માટે અગાઉથી મંજૂરી લીધી હતી. જો કે આ ઘટનામાં કોઇ નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.