Gujarat

બાળકોને કુપોષણ મુક્ત કરવા ચોખાને પ્રોસેસ કરી ફાર્ટિફાઇડ બનાવાય છે : FRL

By GS Team
11 Feb 20221 min read
This article was originally published on 11 Feb 2022
બાળકોને કુપોષણ મુક્ત કરવા ચોખાને પ્રોસેસ કરી ફાર્ટિફાઇડ બનાવાય છે : FRL

દાણા જૂદા આકારના પીળાશ પડતા હોય છે

ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્સ- (વિટામીન B9, B12) તથા આર્યનની માત્રા ઉમેરાય છે

ગાંધીનગર : ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પ્લાસ્ટીકના ચોખા આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદોના અંતે લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવતા તે ચોખાને ફોર્ટિફાઇડ બનાવવામાં આવી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે. આ પ્રોસેસના કારણે ચોખાના દાણા જુદા રંગના, થોડાં પીળાશ પડતાં અને આકારમાં જુદા હોય છે.

નાગરિક પુરવઠા વિભાગના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ ઉમેરવાથી ફાર્ટિફાઇડ ચોખા મૂળ દાણા કરતાં અલગ પડે છે. તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં પ્લાસ્ટીકના ચોખા હોવાની ગેરસમજ ફેલાયેલી હોવાથી રાજ્ય સરકારની સૂચનાથી ફુડ રિસર્ચ લેબોરેટરી (એફઆરએલ)માં વૈજ્ઞાાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ટેસ્ટ કર્યા છે.

ફોરેન્સિક રિસર્સના ડાયરેક્ટર એચપી સંઘવીએ જણાવ્યું હતું કે આ ચોખા પોષણયુક્ત ફોર્ટિફાઇડ છે જે બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે આપવામાં આવી રહ્યાં છે. જ્યારે પુરવઠા વિભાગના નિયામક તુષાર ધોળકિયા કહે છે કે આ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ-ફોલીક એસીડ (વિટામીન B9), વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે એપ્રિલ 2021થી દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ વિતરણ કરી બાળકો માટે કુપોષણ મુક્ત યોજના દાખલ કરી છે. આ ફોર્ટિફાઇડ ચોખા મૂળ ચોખામાં 100:1ના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. તાંત્રિક ભાષામાં તેને એફઆરકે કહેવામાં આવે છે.