Gujarat

રમખાણો અંગે SITએ યોગ્ય તપાસ વિના રિપોર્ટ બનાવ્યો છે

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
રમખાણો અંગે SITએ યોગ્ય તપાસ વિના રિપોર્ટ બનાવ્યો છે

અમદાવાદ, બુધવાર

ગુજરાતના વર્ષ ૨૦૦૨ના રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ.આઇ.ટી. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા અપાયેલી ક્લીન ચિટને ઝાકીયા જાફરી દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારી છે. જેમાં આજની સુનાવણી દરમિયાન ઝાકીયા જાફરી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એસ.આઇ.ટીયએ યોગ્ય તપાસ વિના ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.


ઝાકીયા જાફરી તરફથી  આજે સીનિયર એડવોકેટ કપિલ સિબલે રજૂઆત કરી હતી કે રમખાણોની તપાસ માટે નીમવામાં આવેલી એસ.આઇ.ટી.ના રેકર્ડ દર્શાવે છે કે તેમણે યગ્ય રીતે તપાસ હાથ ધરી નહોતી. તેમણે કોઇના ફોન જપ્ત કર્યા નહોતા અને કોલ ડેટા રેકર્ડ પણ ચેક કરવામાં આવ્યા નહોતા. સિબલે તેમનું અંગત ઉદાહરણ આપતા કહ્યું હતું કે આઝાદી પહેલાં તેમણે પાકિસ્તનમાં રમખાણો દરમિયાન તેમના નાના-નાની ગુમાવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોમી રમખાણો જ્વાળામુખીની લાવારસ જેવા હોય છે. લાવારસ જેમ જમીન પર આવી ફળદ્રુપ જમીન બનાવે છે તેવી જ રીતે રમખાણો પણ ભવિષ્યના રમખાણો અને વેરના બીજ માટે રોપે છે.

ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માં પૂર્વ સાંસદ અહેસાન જાફરીની હત્યા થઇ હતી. રમખાણોની તપાસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ વ્યક્તિઓને અપાયેલી ક્લીન ચિટને અહેસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.