Gujarat

કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારાપૈકીના પાંચ હજારથી વધુ લોકોને બી.આર.ટી.એસ,બગીચા,લેકફ્રન્ટ સહિતના સ્થળોએથી પરત મોકલવામાં આવ્યાં

By GS Team
13 Nov 20212 mins read
This article was originally published on 13 Nov 2021
કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારાપૈકીના  પાંચ હજારથી વધુ લોકોને બી.આર.ટી.એસ,બગીચા,લેકફ્રન્ટ સહિતના સ્થળોએથી પરત મોકલવામાં આવ્યાં

અમદાવાદ,શુક્રવાર,12 નવેમ્બર,2021

અમદાવાદમાં આજથી કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો.જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ  અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારથી એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ.બસ ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ પરિસર તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૨૮૫ બગીચા સહિતના અન્ય સ્થળોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ ના લેનારાને પ્રવેશ નહીં આપવાના નિર્ણયનો અમલ શરુ કર્યો હતો.મ્યુનિ.હસ્તકના બગીચામાં મોર્નિંગ વોક સહિત ફરવા માટે પહોંચેલા બે હજારથી વધુ લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ ના લીધો હોવાનું ખુલવા પામતા પ્રવેશ આપવાની મનાઈ કરાતા કેટલાકે પોતાનો મોબાઈલ ઘરે ભૂલી ગયા હોવા સહિતના બહાના પણ બતાવ્યા હતા.તો કેટલાક સ્થળોએ પ્રવેશ ના મળવાથી નારાજ લોકોએ ઉગ્ર દલીલો પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતે સવારથી લઈ સાંજ સુધીમાં ૫૪૫ લોકો વેકિસનનો બીજો ડોઝ લીધા વગરના હોવાનું જાણવા મળતા પરત મોકલવામાં આવ્યા હતા.બી.આર.ટી.એસ.બસ સ્ટેશનો ઉપરથી સવારથી સાંજ સુધીમાં બે હજારથી વધુ લોકોએ વેકિસનનો બીજો ડોઝ લીધો ના હોવાથી પરત મોકલાયા હતા.એ.એમ.ટી.એસ.ના તેર ટર્મિનસ ખાતેથી ૧૬૧ લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી,ઝોનલ કચેરીઓ અને અર્બન હેલ્થ સેન્ટર સહિતના સ્થળોએથી ૫ાંચસોથી વધુ લોકોએ વેકિસનનો બીજો ડોઝ લીધો ના હોવાથી પરત મોકલવામાં આવ્યા હતા.