Gujarat

અજીતમિલ જંકશન ફલાયઓવર બ્રીજનું કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કર્યુ

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
અજીતમિલ જંકશન ફલાયઓવર બ્રીજનું કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કર્યુ

  અમદાવાદ,શુક્રવાર,3 ડિસેમ્બર,2021

પૂર્વ અમદાવાદના અજીત મિલ જંકશન ઉપર ૩૮ કરોડથી પણ વધુની રકમનો ખર્ચ કરી તૈયાર કરવામાં આવેલા ફલાયઓવરબ્રીજ સહિત અંદાજે ૭૧૧ કરોડથી વધુની રકમના વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વના કોંગ્રેસના એક પણ કોર્પોરેટરને નિમંત્રણ આપવામાં ન આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ જાતે જ ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર સાથે ફલાયઓવરબ્રીજનું લોકાર્પણ કરી દીધુ હતું.

પૂર્વમાં ત્રણ વર્ષના સમય બાદ તૈયાર કરવામાં આવેલા અજીતમિલ જંકશન ફલાય ઓવરબ્રીજનું રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.જો કે આ કાર્યક્રમમાં પૂર્વના ભાજપના કોર્પોરેટરોને જ આમત્રંણ આપવામાં આવ્યુ હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે.

પૂર્વના વડિલ ગણેશભાઈ ચાવડા દ્વારા અજીતમિલ ફલાય ઓવરબ્રીજનું કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ,જગદીશ રાઠોડ,કમળાબેન ચૌહાણ અને ઝુલ્ફીખાન પઠાણ સહિતના કોર્પોરેટરોએ ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર કરી લોકાર્પણ કરાવ્યુ હતું.