Gujarat

કોરોના બાદ ભારત માટે પોષણક્ષમ આરોગ્ય સેવા પુરી પાડવી પડકાર

By GS Team
12 Nov 20212 mins read
This article was originally published on 12 Nov 2021
કોરોના બાદ ભારત માટે પોષણક્ષમ આરોગ્ય સેવા પુરી પાડવી પડકાર

અમદાવાદ

આઈઆઈએમ અમદાવાદ ખાતે સોશિયલ પોલીસી પર વકતવ્ય આપતા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે કોરોના બાદ ભારત માટે ગરીબી,આરોગ્ય,શિક્ષણ અને ખાસ કરીને ન્યુટ્રિશન મોટા પડાકારો છે.ભારતમાં ૫૦ કરોડ લોકોને શહેરીકરણ સીધુ અસર કરે છે ત્યારે ભારતે વૈજ્ઞાાનિક પદ્ધિતીથી શહેરીકરણનું આયોજન કરવુ પડશે અને સાયન્ટિફિક અર્બનાઈઝેશન પ્લાન કરવુ પડશે.

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ૨૭૦ મીલિયન એટલે કે ૨૭ કરોડ લોકો ગરીબી રેખા નીચે હોવાનું નોંધાયુ છે ત્યારે આગામી એક દાયકામાં ગરીબો સુધી આરોગ્ય-શિક્ષણ પહોંચાડવુ એક મોટો પડકાર છે.કોરોનાના ૧૮ મહિનામાં દેશમાં નવી ઘણી બાબતો બની છે અને ઘણી બાબતો શીખવા મળી છે.જો કે કોરોના મહામારીની લડાઈ હજુ પુરી થઈ નથી ત્યારે હવે આગળના સમયમાં ભારતે ન્યુટ્રિશન,હેલ્થ પર વધુ ધ્યાન આપવુ પડશે. ભારત સરકારની હાલ ૫૨૬ જેટલી જુદી જુદી યોજનાઓ છે અને આરોગ્ય માટે ભારત સરકારની આયુષમાન યોજનામાં ૫૦ કરોડ લોકોેને હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવાયા છે.આગામી સમય માટે ભારતમાં લર્નિંગ આઉટકમ,ડેટા રીસોર્સની જરૃર પડશે અને ખાસ કરીને હવે ડિજિટલાઈઝેશનના યુગમાં ભારતમાં મોટુ પરિવર્તન થઈ રહ્યુ છે. દેશમાં હવે રીઅલ ટાઈમ ડેટા, મશીન લર્નિગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી સહિતની ઉભરતી ટેકનોલોજીની અને ખાસ કરીને ફાઈવ જી ટેકનોલોજીની મોટી તકો છે.

આ ઉપરાંત ભારતમાં સાયન્ટિફિક અર્બનાઈઝેશનની પણ જરૃર છે અને જેનાથી ભારતમાં મોટા પાયે વિકાસ થશે તેમજ મોટા પાયે રોજગારી ઉભી થશે.વધુમાં દેશમાં રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, એનર્જી અને ફાર્મસી સેકટરમાં પણ મોટા પાયે વિકાસની તકો રહેલી છે.ખાસ કરને ગુજરાતમાં રીન્યુએબલ સેકટરમાં મોટા રોકાણની તકો છે.ભારત સરકાર દ્વારા લોકો માટે અનેક યોજનાઓ તૈયાર કરવામા આવે છે પરંતુ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારોની મોટી ભૂમિકા છે.કોર્પોરેટ સેકટર અને રાજ્ય સરકારોની મદદ વગર જિલ્લા સ્તરે અને ગ્રામ્ય સ્તરે યોજનાઓ પહોંચાડવા પડકાર છે.ભારત સરકારે દેશમાં ૧૧૫ પછાત જિલ્લાઓ નક્કી કર્યા છે અને જેને આરોગ્ય સેવા,શિક્ષણ સેવા સહિતની તમામ સેવાઓ પુરી પાડીને ટેકનોલોજીની મદદથી આગળ લાવવા પર સરકાર કામ કરી રહી છે. અમિતાભ કાંતે શિક્ષકોને સોંપાતી શિક્ષણ સિવાયની કામગીરીને લઈને જણાવ્યું કે શિક્ષકોની અછત અનેક રાજ્યોમાં છે અને શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ.