Gujarat

મનોજ અગ્રવાલને કરાઇ એકેડમી બોલાવીને વિકાસ સહાયે પૂછપરછ કરી

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
મનોજ અગ્રવાલને કરાઇ એકેડમી બોલાવીને વિકાસ સહાયે પૂછપરછ કરી

રાજકોટના વિવાદાસ્પદ તોડકાંડનો મામલો

મનોજ અગ્રવાલનું નિવેદન નોંધીને ફરિયાદીના આક્ષેપ અને પુરાવાઓ તપાસ કરવામાં આવી : રાજકોટમાં તપાસ સમિતિની એક ટીમના ધામા

અમદાવાદ : રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓ પર જમીન ખાલી કરાવવા અને ફસાયેલા નાણાં પરત ેલેવાના બદલામાં કમિશન લેવાના ગંભીર આક્ષેપને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

જેમાં મંગળવારે 75 લાખના તોડ કેસના ફરિયાદીના નિવેદન નોંધ્યા બાદ આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને  વિકાસ સહાય દ્વારા નિવેદન નોંધાવવા માટે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, મિડીયાના પ્રશ્નોને ટાળવા માટે તેમનું નિવેદન ગાંધીનગર પોલીસ ભવન ખાતે ઓફિસના બદલે કરાઇ એકેડમીની ઓફિસ ખાતે બોલાવીને નિવેદન નોંધવામાં આવ્યું હતું.

રાજકોટના ધારાસભ્યના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કમિશન લઇને તોડબાજી કરવાના ગંભીર આક્ષેપની તપાસ કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશેષ  તપાસ સમિતિ રચવામાં આવી છે. જેમાં ડીજીપી (ટ્રેનીંગ) વિકાસ સહાયને આ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. જે સંદર્ભમાં મંગળવારે મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાના તોડનો આક્ષેપ કરનાર ત્રણ ફરિયાદીના નિવેદનો લેવામાં આવ્યા હતા.

જેમાં તેમણે મુદ્દાસર નિવેદનો લખાવવાની સાથે વિકાસ સહાયને  પુરાવા પણ આપ્યા હતા. જેમાં એક સાક્ષીનું નામ પણ આપ્યું હતું. જે બાદ તેમના નિવેદનોનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે ગુરૂવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા.

પરંતુ, તેમનું નિવેદન ગાંધીનગર પોલીસ ભવન ખાતે નોંધવાને બદલે વિકાસ સહાયે કરાઇ ખાતે આવેલી પોલીસ ટ્રેનીંગ એકેડમી પર મનોજ અગ્રવાલને બોલાવીને નિવેદન નોધ્યું હતું. જેમાં  ફરિયાદી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને લઇને તબક્કા વાર પુછપરછ કરવાની સાથે આપવામાં આવેલા પુરાવા અગે પુછપરછ કરીને આશરે સાત થી આઠ પેજનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. 

જો કે આ અંગે મનોજ અગ્રવાલને પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.  તો  બીજી તરફ તપાસ સમિતિ સાથે જોડાયેલી એક ટીમ  બુધવારે રાજકોટ પહોંચી હતી અને જેમાં કેટલાંક સૃથળોની મુલાકાત લેવાની સાથે 10 જેટલા લોકો સાથે પુછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગે ત્રણ દિવસમાં આ રિપોર્ટ ફાઇલ કરવા માટે સુચના આપી હતી. પણ, તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવતા  સમગ્ર આક્ષેપોની તપાસ શુક્રવારે પૂર્ણ થવાની શક્યતા છે. જે બાદ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે.