Gujarat

'રોક સકો તો રોક લો' IMનો પડકાર ગુજરાત પોલીસે આતંક રોકી બતાવ્યો

By GS Team
8 Feb 20224 mins read
This article was originally published on 8 Feb 2022
'રોક સકો તો રોક લો' IMનો પડકાર ગુજરાત પોલીસે આતંક રોકી બતાવ્યો

26-7-2008ની સાંજે આતંકનો ખોફ, 8-2-2022ની સવારે કાયદાનો કોરડો

શનિવારની સાંજે 20 વિસ્તારમાં લાકડાના હોડી આકારના બોમ્બ મૂકી આતંકીઓ ભાગી ગયેલા : બે હોસ્પિટલમાં બ્લાસ્ટે હચમચાવી દીધા હતા

અમદાવાદમાં રેકી પછી મુંબઈથી ચોરેલી કારમાં બોમ્બ લાવી બ્લાસ્ટ કર્યાં

સુરતના સદ્દનસીબ: 15 સ્થળે 20 બોમ્બ પ્લાન્ટ કર્યાં, એકપણ ફૂટયો નહીં

અમદાવાદ : 'રોક સકો તો રોક લો.' 14 વર્ષ પહેલાં વર્ષ 2008માં તા. 26 જુલાઈને શનિવારની સાંજે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયાં તેની મિનિટોમાં જ નેશનલ ન્યૂઝ ચેનલોને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામે આ ઈ-મેઈલ મોકલવામાં આવ્યાં હતાં. ખરેખર, આ પડકારને ઝીલી લઈને ગુજરાત પોલીસે આતંકને રોકી બતાવ્યો છે. હવે, ન્યાય તંત્રએ કાયદાનો કોરડો વિંઝીને 8-2-2022ની તારીખે નવી તવારીખ લખી છે.

તા. 26-7-2008ના શનિવારની સાંજે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. સાંજે 6-30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થયાના મેસેજ ફરતાં થયાં. પણ, થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ થયો તે માટે અલગ-અલગ વિસ્તારના નામ આવવા લાગ્યાં હતાં. વાસ્તવિકતા એ હતી કે, ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ અમદાવાદના 20 સૃથળોએ બોમ્બ પ્લાન્ટ કર્યાં હતાં.

હોડી આકારના લાકડાના ખાસ પ્રકારના ફર્માવાળા બનાવાયેલા બોમ્બમાં એમોનિયમ નાઈટ્રેટ અને છરા ભરીને ઈલેક્ટ્રોનિક ટાઈમર ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક પછી એક બ્લાસ્ટની યાદી લંબાતી ગઈ. હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની ભીડ વધતી ચાલી હતી. પણ, માનવતા નેવે મુકાઈ હોય તેમ અમદાવાદની એલ.જી. હોસ્પિટલના પાર્કિંગમાં બ્લાસ્ટના મેસેજ આવ્યાં.

હજુ આ અમાનવીય ઘટના સામે સતર્કતા દાખવવામાં આવે ત્યાં જ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડ બહાર કારમાં મીની ગેસ સિલિન્ડર સાથે મુકાયેલા બોમ્બથી ઘાતક બ્લાસ્ટ થયાં. આ ઘટનાએ સહુ કોઈને હચમચાવી દીધાં હતાં. આખા રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું. એવામાં સુરતમાં બોમ્બ મળવાના શરૂ થયાં. આખી રાત ઓપરેશન ચાલ્યું તેમાં 15 સૃથળેથી 20 બોમ્બ મળી આવ્યાં. સુરતના સદ્દનસીબે એકપણ બોમ્બ ફાટયાં નહોતાં.

મુંબઈથી બે કાર ચોરીને લવાયેલા બોમ્બ અમદાવાદમાં 20 સૃથળોએ અને સુરતમાં 15 સૃથળોએ  મુકાયાં હતા. આ અગાઉ બે વર્ષ દરમિયાન ભારતના મોટા શહેરોમાં એક ડઝનથી વધુ બ્લાસ્ટ કરી પાકિસ્તાન આઈએસઆઈના ઈશારે ભારતીય યુવાનોને જ ગુમરાહ કરી  સક્રિય કરાયેલાં ઈન્ડિયન મુજાહિદ્દીન ડરનું નામ બની રહ્યું હતું.

વર્ષ 2008માં 26 જુલાઈમાં સાંજે થોડા કલાકો માટેનો આતંકનો ડર ગુજરાત માટે હિમ્મત અને એકતાનો કાયમી સુરજ ઉગાડી ગયો હતો. બાકીનું કામ ગુજરાત પોલીસે કરી બતાવ્યું હતું. ઈન્ડિયન મુજાહિદ્દીને 'રોક શકો તો રોક લો' પડકાર 14 પાનાના ઈ-મેઈલથી કર્યો હતો.

વર્ષ 2002માં પ્રથમ વખત કોલકાતાના અમેરિકન કલ્ચર સેન્ટરથી ઈન્ડિયન મુજાહિદ્દીનની આતંકી ગતિવિિધ શરૂ થઈ હતી. આ પછી દિલ્હી, બેંગાલુરૂ, લખનૌ, વારાણસી, અમદાવાદ રેલવે સ્ટેશન, મુંબઈ, ગોરખપુર ટ્રેન, હૈદ્રાબાદ સહિતના શહેરોમાં એક ડઝનથી વધુ બ્લાસ્ટ કરી ચૂકેલા પાકિસ્તાન પ્રેરિત ભારતીય આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનને ગુજરાત પોલીસે રોકી બતાવ્યું છે.

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયાંના 19 જ દિવસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના બે મોડયૂલનો પર્દાફાશ ગુજરાત પોલીસે કર્યો. ગુજરાત પોલીસની માહિતીઓ પરથી મધ્ય પ્રદેશ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસૃથાન પોલીસની સક્રિયતાથી દેશભરમાં આતંક મચાવતા ઈન્ડિયન મુજાહિદ્દીનનો પૂર્ણરૂપનો સફાયો કરવામાં આવ્યો છે.

બ્લાસ્ટ સાથે ડર નાગરિકોમાં ફેલાવવા માટે ઈ-મેઈલ કરવાના ઈન્ડિયન મુજાહિદ્દીન અને ભેજાંબાજ અબ્દુલ સુભાન ઉર્ફે તોકીર સહિતના આતંકીઓ કાયદાના સકંજામાં છે. રોક સકો તો રોક લો... આ પડકારને ઝીલી લઈ ગુજરાત પોલીસે ખરેખર આતંક રોકી બતાવ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

જુલાઈ મહિનો ભારે હતો: રથયાત્રામાં માનવબોમ્બની ભીતિ હતી: આસારામ આશ્રમના તોફાનો પછી બ્લાસ્ટ

વર્ષ 2008ના એ જુલાઈ મહિનો અમદાવાદ માટે ભારેખમ રહ્યો હતો. તા. 4 જુલાઈએ રથયાત્રા હતી તે પહેલાં જ માહોલ યોગ્ય લાગતો નહોતો. દેશના અન્ય શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાથી રથયાત્રા દરમિયાન માનવબોમ્બથી બ્લાસ્ટ કરવાની ભીતિ હતી. જો કે, રથયાત્રા રંગેચંગે યોજાઈ હતી. રથયાત્રા પૂર્ણ થઈ ને આસારામ આશ્રમમાંથી લાપતા બનેલા દિપેશ - અભિષેકના મૃતદેહ તા. 6 જુલાઈએ સાબરમતી નદીમાંથી મળી આવ્યાં હતાં.

લાપતા બાળકોના મૃત્યુ સામે જનઆક્રોશ એવો પ્રજવળ્યો હતો કે, ઉપવાસ, રેલી, દેખાવો વચ્ચે તા. 17 જુલાઈએ અમદાવાદ બંધ અને તા. 20 જુલાઈએ ગુજરાત બંધના એલાન અપાયાં. આ દરમિયાન, આશ્રમના સાધકોએ હુમલા કર્યા અને ટોળાંએ બસોમાં તોડફોડ અને આગજની સહિતના કૃત્યો આચર્યા હતા. આસારામ આશ્રમ વિવાદમાં જ્યુડિશિયલ ઈન્કવાયરીના આદેશ થયાં અને મામલો માંડ થાળે પડી રહર્યો હતો ત્યાં તા. 26 જુલાઈની સાંજે સિરિયલ બ્લાસ્ટ થયાં.