Gujarat

IIT ગાંધીનગરની ટીમે દરિયાઈ પાણી પીવા લાયક બનાવવા નવી પદ્ધતિ શોધી

By GS Team
8 Feb 20222 mins read
This article was originally published on 8 Feb 2022
IIT  ગાંધીનગરની ટીમે દરિયાઈ પાણી પીવા લાયક બનાવવા નવી પદ્ધતિ શોધી

અમદાવાદ,

આઈઆઈટી ગાંધીનગરના રીસર્ચ સ્કોલર્સની ટીમ દ્વારા દરિયાઈ પાણીને પીવા લાયક બનાવવા માટે ઓછી ખર્ચાળ અને ઈકો ફ્રેન્ડલી વોટર ડિસેલિનેશન ટેકનિક ડેવલપ કરાઈ છે.

આઈઆઈટી ગાંધીનગરના પીએચડી સ્કોલર્સ લલિતા સૈની, અપરણા રાઠી,સુવિજ્ઞાા કૌશિક અને પોસ્ટ ડોક્ટરલ ફેલો શિવ શંકર નેમાલા સહિતની ટીમ દ્વારા પીવાના શુદ્ધ પાણીના અભાવની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખતા  વોટર ડિસેલિનેશનની નવી ટેકનિક વિકસાવી છે.જેમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે કુદરતી પ્રક્રિયા પાણીના જથ્થામાંથી ૯૯ ટકાથી વધુ મીઠાના આયનો અને અન્ય અશુધ્ધિઓ સારી રીતે દૂર કરી શકાય છે. હાલની ડિસેલિનેશનની સામાન્યપણે ઉપયોગમા લેવાતી રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) ટેકનોલોજી  ખૂબ જ ખર્ચાળ છે અને વધુ પાણીનો બગાડ પણ થાય છે.જેથી હવે દુનિયામાં પીવાના શુદ્ધ પાણીની જરૃરિયાતને પુરી પાડવા દરિયાઈ પાણીના ડિસેલિનેશનની માંગ ઉભી થઈ રહી છે.

રીસર્ચ ટીમના જણાવ્યા મુજબ કુદરતી ગ્રેફાઈટ પાણી અથવા પ્રોટોન સહિત કોઈ પણ આયનને શોષતુ નથી.જો કે તેની પ્રક્તિ દ્વારા ગ્રેફાઈટ સ્ફટિક પાણીના કોઈ પણ અણુઓને પસાર પણ થવા દેતુ નથી કારણકે તેની અંદર આ અણુઓના પરિવહન માટે પુરતી જગ્યા નથી. ઈલેક્ટ્રિક ફિલ્ડનો ઉપયોગ કરીને અને તેમાં પોટેશિયમ ક્લોરાઈડ આયનો દાખલ કરીને આ સમસ્યા હલ કરવામા આવી હતી.જે ગ્રેફાઈટ ક્રિસ્ટલની અંદર થોડી જગ્યા બનાવે છે અને પાણીના પરમાણુઓને સરળતાથી પસાર કરવા માટે સ્થિર માળખુ પુરુ પાડે છે,સાથે જ તે મીઠાના તમામ આયનને અવરોધે છે.આમ આપણને પીવાલાયક પાણી મળે છે.