કોલસાથી થતાં હવા પ્રદૂષણને રોકવા સરકારનો એક્શન પ્લાન શું છે?: હાઇકોર્ટ

અમદાવાદ,
શુક્રવાર
ગુજરાતમાં હવા પ્રદૂષણ નિયંત્રિત કરવાની માંગણી સાથે થયેલી
જાહેર હિતની રિટમાં આજે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો
કે કોલસાથી થનારા હવા પ્રદૂષણને રોકવા માટે સરકારનો એક્શન પ્લાન શું છે?
આ ઉપરાંત કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે સરકાર ઉદ્યોગોને
સી.એન.જી.અને પી.એન.જી. જેવા કુદરતી ગેસ પર ટ્રાન્સફર થવાનો આદેશ ન કરી શકે તે
સમજી શકાય છે પરંતુ પર્યાવરણ માટે ઘાતક લિગ્નાઇટના ઉપયોગ પર તો પ્રતિબંધ મૂકાવો જો
જોઇએ. કેસની વધુ સુનાવણી ૨૫મી માર્ચના રોજ નિયત કરવામાં આવી છે.
હાઇકોર્ટના આદેશમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યના સ્ટીલ, વીજ ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને
ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો ઉત્પાદન માટે ઇંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરે છે. આ
ઉદ્યોગો દ્વારા દરરોજ સાડા ચાર લાખ મેટ્રિક ટન કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે.
લિગ્નાઇનો ઉપયોગ પર્યાવરણ માટે કોલસા કરતા પણ વધુ ઘાતક છે. જેથી અરજદાર માંગણી કરી
રહ્યા છે કે સરકારે એવો કોઇ ઉકેલ લવવા જોઇએ,
જેના પરિણામે લિગ્નાઇટનો ઉપયોગ તબક્કાવાર રીતે બંધ થાય.
કોર્ટે નોંધ્યું છે કે અરજદારની રજૂઆત પ્રમાણે સી.એન.જી.
અને પી.એન.જી. જેવા કુદરતી ગેસોનું પૂરતું ઉત્પાદન રાજ્યમાં થઆય છે. આ ઉપરાંત
દેશમાં સૌથી વધુ ગેસ પાઇપલાઇન ગુજરાતના દરિયાકાંઠાને અડીને પસાર થાય છે. સામા
પક્ષે રાજ્ય સરકારનું કહેવું છે કે ઉદ્યોગોને અચાનક કોલસાનો ઉપયોગ બંધ કરવાનો અને
કુદરતી ગેસોનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ કરી શકાય નહીં. બન્ને પક્ષોની રજૂઆત
ધ્યાને લઇ કોર્ટે કહ્યું છે કે કોર્ટ સરકાર પાસેથી સ્પષ્ટતા જાણવા માંગે છે કે
ઉદ્યોગોમાં કોલસાનો ઉપયોગ રોકવા તેમનો ભવિષ્યનો એક્શન પ્લાન શું છે. કેસની વધુ
સુનાવણી ૨૫મી માર્ચે હાથ ધરાશે.




