Gujarat

યુનિ.ના ઉપકુલપતિ રીપિટ નહી, ફરી સરકાર જગ્યા ખાલી રાખશે?

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
યુનિ.ના ઉપકુલપતિ રીપિટ નહી, ફરી સરકાર જગ્યા ખાલી રાખશે?

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારની ત્રણ વર્ષની ટર્મ આજે પુરી થઈ ગઈ છે અને સરકારે તેમને ફરી એક ટર્મ આપવા માટેનો કોઈ પણ લેટર-ઠરાવ રાત સુધી ઈસ્યુ કર્યો ન હતો કે આ જગ્યા પર અન્ય કોઈની નિમણૂંક પણ કરી નથી.આમ હવે ફરી એકવાર યુનિ.માં ઉપકુલપતિની જગ્યા કુલપતિની ટર્મ સુધી ખાલી જ રહે તેવી શક્યતા છે.

ગુજરાત યુનિ.માં અગાઉ ૨૦૧૪થી૨૦૧૯ સુધી લગભગ પાંચ વર્ષ માટે ઉપકુલપતિની જગ્યા ખાલી રહી હતી પરંતુ ૨૦૧૯માં ફેબુ્રઆરીમાં સરકારે ગુજરાત યુનિ.માં ઉપકુલપતિની નિમણૂંક કરી દીધી હતી.ભાજપ સાથે સંકળાયેલા અને અગાઉ કોર્પોરેશન બોર્ડમાં રહી ચુકેલા અને મૂળ સ્કૂલના શિક્ષક એવા ડૉ.જગદીશ ભાવસારને ઉપકુલપતિ બનાવાયા હતા.સરકારે એકાએક ઉપકુલપતિ નીમી દેતા કુલપતિ માટે પણ આશ્ચર્ય હતુ.પરંતુ અંતે સારી રીતે જગદીશ ભાવસારે કોઈ પણ વિવાદ વગર ત્રણ વર્ષની ટર્મ પુરી કરી દીધી છે. જો કે વિવાદ ત્યારે થાય જ્યારે કોઈ મોટો નિર્ણય તેમનાથી લેવાયો હોય.પણ તેમણે આંતરીક રીતે કરેલી કેટલીક સારી કામગીરી યુનિ.ના અધિકારીઓ-સ્ટાફ અને યુનિ.શિક્ષણ જગત માટે પ્રશંસનીય બની હતી.

કુલપતિ અને ઉપકુલપતિ વચ્ચે મોટા ભાગે ગજગ્રાહ રહેતો હોય છે પરંતુ હિમાંશુ પંડયા અને જગદીશ ભાવસાર વચ્ચે ક્યારેય દેખીતો ગજગ્રાહ સામે દેખાયો નથી. જગદીશ ભાવસારને રીપિટ કરાય  તેવી અટકળો હતી પરંતુ સરકાર કદાચ અહીંયા પણ નો રીપિટ થીયરીના મુડમાં હોય તેવુ લાગે છે.જો કે અગાઉ કુલપતિ હિમાંશુ પંડયાની ટર્મ પુરી થયાના ઘણા દિવસો બાદ સરકારે તેઓની જ ફરી કુલપતિપદે નિમણૂંક કરી હતી.બીજી બાજુ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકાર હવે થોડા સમય માટે અથવા તો કુલપતિ હિમાંશું પંડયાની બીજી ટર્મ પુરી ન થાય ત્યાં સુધી ઉપકુલપતિ પદે કોઈની નિમણૂંક ન કરી આ જગ્યા ફરી એકવાર ખાલી જ રાખશે.