Gujarat

પૂર્વ અમદાવાદમાં આજે ફૂટવેર બજારો બંધ રહેશે

By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022
પૂર્વ અમદાવાદમાં આજે ફૂટવેર બજારો બંધ રહેશે

અમદાવાદ,તા.03 જાન્યુઆરી 2022,સોમવાર

અમદાવાદમાં આજે મંગળવારે ફૂટવેરના તમામ વેપારીઓ એક દિવસ બંધ રાખીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કરશે. ફૂટવેર પર પાંચ ટકાથી વધારીને સીધી ૧૨ ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો પુરજોશમાં વિરોધ કરાશે.પૂર્વ અમદાવાદમાં મોટાપાયે ફૂટવેરનો ઉદ્યોગ છે. તમામ બજારો બંધ રહેશે.

સોમવારે કાલુપુરમાં કાલુપુર ફૂટવેર એશોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે આ એશોસિએશનના પ્રમુખ રાજુભાઇ ઢોલાણીના જણાવ્યા મુજબ ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો નહતો. 

સરકારે પાંચ ટકા જીએસટી નાંખી દીધી ! આ નિર્ણયનો અમે સ્વીકાર કર્યો હવે સરકાર ૧૨ ટકા જીએસટી નાંખવાની વાત કરે છે તે અયોગ્ય છે. આખો ધંધો તૂટી જશે. ૧૦ રૂપિયાથી લઇને જુદાજુદા ભાવની ચંપલો બજારમા ંવેચાય છે. નાની લારીવાળાઓ તેના પર રોજી કમાય છે. ૧૨ ટકા જીએસટી અસહ્ય અને અન્યાયપૂર્ણ છે.

આજે કાલુપુરમાં બેઠક મળી હતી જેમાં મંગળવારે કાલુપુર ફૂટવેર, સૌદાગર પોળ, કડિયાકૂઇ માર્કેટ સહિતના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં આશરે હજાર જેટલા હોલસેલરો અને ૧૦ હજારથી પણ વધુ રિટેલરો છે આ બધા બંધમાં જોડાશે.

નોંધપાત્ર છેકે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મંગળવારે ફૂટવેરના વેપારીઓ, મેન્યુફેક્ચર, હોલસેલ, રિટેલર બધા બંધ પાળીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કરનાર છે.