Gujarat

કચ્છના પેટાળમાં હલચલ વધી પખવાડિયામાં પાંચ ધરતીકંપો

By GS Team
20 Jan 20222 mins read
This article was originally published on 20 Jan 2022
કચ્છના પેટાળમાં હલચલ વધી પખવાડિયામાં પાંચ ધરતીકંપો

મહાવિનાશક ભૂકંપને 5 દિવસ પછી 21 વર્ષ થશે

દુધઈ, ભચાઉ, ધોળાવીરામાં કેન્દ્રબિંદુ: ઈ.2021માં 4થી વધુ તીવ્રતાના 5,ઈ.2020માં 7 ધરતીકંપો, સૌથી વધુ ભચાઉમાં 

રાજકોટ : ભયભીત થવાનો નહીં પણ સતર્ક રહેવાનો સતત મેસેજ આપતા ભૂકંપનો સિલસિલો કચ્છમાં તા.26-1-2001ના હજારોનો ભોગ લેનાર અને શહેરોને ખંડેરમાં ફેરવી નાંખનાર મહાવિનાશક ભૂકંપ પછી જારી રહ્યો છે. જાન્યુઆરી માસમાં ગત પખવાડિયામાં ફરી કચ્છની ધરતીના પેટાળમાં હલચલ વધી છે અને ગત 15 દિવસમાં 5 ધરતીકંપો નોંધાયા છે.

ગત રાત્રિના 9.43 વાગ્યે ધોળાવીરાથી 16 કિ.મી.દક્ષિણે 3.8ની તીવ્રતાનો અને મોડી રાત્રિના 11.58 વાગ્યે ભચાઉથી 8 કિ.મી.ઉત્તરે ધરતીકંપ નોંધાયા છે.ગત તા.13 જાન્યુઆરીએ દુધઈ પાસે સવારે 5.43 વાગ્યે 3.0, તા.12ના રાપરથી 17 કિ.મી.પશ્ચિમે 2.8 અને તા.6ના દુધઈથી 9 કિ.મી.ના અંતરે 3.0નો ધરતીકંપો જુદા જુદા કેન્દ્રબિંદુ પર ઉદભવ્યા છે અને તે આફ્ટર શોક નથી. 

બે વર્ષથી કચ્છની ધરતીના પેટાળમાં ભૂકંપોનું પ્રમાણ વધ્યું છે અને મોટાભાગના 2001ના ભયાનક ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસ  ભચાઉ પંથકમાં ઉદભવ્યા છે. ઈ.સ.2020માં 4થી વધુ તીવ્રતા કે જેનાથી બારીબારણા હલબલી ઉઠે છે, ધ્જારી અનૂભવાય છે તેવી તીવ્રતાના 7 માત્ર કચ્છમાં નોંધાયા તેમાં ભચાઉ પંથકમાં જ 4.1ની તીવ્રતાના 2, 4.2, 4.6ના એક એક અને કચ્છમાં તાજેતરના સૌથી વધુ તીવ્રતાના 5.3નો ભૂકંપ પણ ભચાઉમાં ઉદભવ્યો હતો. 

ગત વર્ષે કચ્છમાં 4થી વધુ તીવ્રતાના પાંચ ભૂકંપ નોંધાયા છે તેમાં તા.21 ઓગષ્ટે ધોળાવીરા પાસે 4.1, તા. 4 ઓગષ્ટે રાપર પાસે 4.0, તા.18 જૂન 2021ના ભચાઉ પાસે 4.2 અને તા.7 જાન્યુઆરીએ ભચાઉ પાસે 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે કચ્છ એ ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ઝોન-5માં આવે છે અને અનેક ફોલ્ટલાઈન ધરાવે છે.