Gujarat

નિકાસના પ્રોત્સાહન યોજનાનો લાભ લેવાનું ચૂકી જનારને હવે લાભ મળશે

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
નિકાસના પ્રોત્સાહન યોજનાનો લાભ લેવાનું ચૂકી જનારને હવે લાભ મળશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ભારતમાંથી નિકાસ કરવા માટે શિપિંગ બિલ રજૂ કરતી વેળાએ નિકાસ કરનારાઓને પ્રોત્સાહનની રકમ આપતી રેમિશન ઓફ ડયૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ  ગુડ્સ -રોડટેપ અને એમઈઆઈએસ-મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમનો લાભ લેવાની લેખિત જાહેરાત કરવાનુ  ચૂકી જનારાઓને પણ નિકાસ કર્યાના એક વર્ષની અંદર તે પ્રોત્સાહનોનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે મળનારી વધારાના એક વર્ષની મુદત પણ ચૂકી જનાર તેમના કાર્યક્ષેત્રના કસ્ટમ્સ કમિશનરને અરજી કરીને વિલંબ માટેના યોગ્ય કારણો દર્શાવીને છ-છ માસના બે એક્સટેન્શન પણ મેળવી શકશે. આમ કુલ ૨૪ મહિના સુધી નિકાસના ઇન્સેન્ટિવ લેવાનો માર્ગ ભારત સરકારે ખોલી આપ્યો છે.  ભારત સરકારના નાણાં મંત્રીએ આજે એક પરિપત્ર કરીને પ્રસ્તુત નિર્ણયની જાહેરાત કરી છે. બાવીસમી ફેબુ્રઆરી ૨૦૨૨થી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. 

શિપિંગ બિલ રજૂ કરીને નિકાસનો માલ દેશ બહાર મોકલી દીધા પછી નિકાસકાર તેના શિપિંગ બિલને એક કે એકથી વધુ સ્કીમ હેઠળ નિકાસ માટે આપવામાં આવતા પ્રોત્સાહનો મેળવી શકશે. નિકાસના નિયમોમના જાણકાર મનીષ જૈનનું કહેવું છે કે નાણાં મંત્રીએ જાહેરાત કરીને પ્રોત્સાહન સ્કીમ્સનો લાભ લેવા માટે બાર મહિનાનો સમય આપ્યો છે. કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ની કલમ (૫) હેઠળ આ લાભ આપવામાં આવ્યો છે. વેરહાઉસ ગુડ્સને કલમ ૬૯ની જોગવાઈ હેઠળ લાબ આપવામાં આવ્યો છે. નિકાસકારો સંજોગવશાત આ પ્રોત્સાહન યોજનાના લાભ લેવાનુ ંચૂકી જાય તો તેવા સંજોગોમાં તેમને આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બાર મહિના સુધીમાં પણ આ યોજના હેઠળ અરજી કરવાનું ચૂકી જાય તો નિકાસકારો તેમના કાર્યક્ષેત્ર હેઠળના કમિશનરને અરજી કરીને વિલંબ માટેના યોગ્ય કારણો આપીને તે લાભ મેળવવાની મુદતને છ-છ માસના મળીને કુલ બાર માસ સુધી લંબાવી શકશે. આ લાભ લેવા માટે અરજદારે લેખિતમાં રજૂઆત કરવી પડશે. કમિશનરને કારણો વાજબી લાગશે તો તેઓ તેમની અરજીને સ્વીકારીને પ્રોત્સાહનોનો લાભ આપશે. 

નિકાસના પ્રોત્સાહનોના લાભ મેળવવા માટેની અરજી કર્યાના ૩૦ દિવસની અંદર જ કસ્ટમ્સકમિશનરે તે અંગે નિર્ણય લઈ લેવાનો રહેશે. જોકે નિકાસ કર્યા પછી ૧૨ મહિના સુધીમાં એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સનો લાભ મેળવવા ઇચ્છનારાઓએ અરજીની સાથે જ માલની નિકાસ કરી ત્યારે મોજૂદ દસ્તાવેજો રજૂ કરવા પડશે. તેમ જ તેને માટે ફી ભરવાના નિયમો પ્રમાણે જમા કરાવેલી ફીની રિસિપ્ટ પણ રજૂ કરવાની રહેસે. આમ આ અંગેની તમામ શરતોનું પાલન થશે તો તેમને નિકાસના લાભ આપવાની અરજીનો સ્વીકાર કરવામાં આવશે. હા,નિકાસના જે કન્સાઈનમેન્ટ માટે ઇન્સેન્ટિવ લેવાની અરજી કરી હોય તે કન્સાઈનમેન્ટ માટે નિકાસકારે એમઈઆઈએસ કે પછી રોડટેપ  લાભ મેળવેલો ન હોવો જોઈએ. આ નિકાસકાર સામે કોઈપણ નિયમ ભંગ બદલ તપાસ થયેલી કે ચાલતી હોવી ન જોઈએ તેવી શરત પણ આ લાભ માટે મૂકવામાં આવેલી છે.