જર્જરિત ઓઢવ ફાયર સ્ટેશન ખાલી કરાયું, સ્ટાફને નિકોલ ખસેડાયો

અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર
ઓઢવ ફાયર સ્ટેશન જર્જરિત થઇ જતા સ્ટાફ ક્વાટર્સ ખાલી કરાવીને તમામ સ્ટાફને નિકોલ ફાયર સ્ટેશનમાં ખસેડી દેવામાં આવ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા રિડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાઇ છે અંદાજે ૧૨ થી ૧૫ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન નવું બની રહેશે. હાલમાં ત્યાં બે ફાયરની ગાડીઓ અને તેના સ્ટાફને ૨૪ કલાકની ફરજ પર મુકાયા છે. બાકીના તમામ સ્ટાફને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યો છે.
આશરે ૩૦ વર્ષ જુનું ઓઢવ ફાયર સ્ટેશન હવે રહેવા લાયક રહ્યું નથી. સ્ટાફ ક્વાટર્સની દિવાલો બોદી થઇ ગઇ છે, ધાબા પરથી સિમેન્ટના પોપડા પડી રહ્યા છે, ચોમાસામાં ધાબામાંથી પાણી ટપકે છે, ચોમાસામાં ફાયર સ્ટેશનની ફરતે ૩ ફૂટ પાણી ભરાઇ જાય છે, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી પીવાલાયક પાણી મળતું નથી. ઓઢવ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીઓનું કલરયુક્ત પાણી આવે છે, વારંવાર ગટરો ઉભરાય છે. પ્રદુષણની પણ પારાવાર સમસ્યા છે.
આ તમામ સમસ્યાઓ વર્ષોથી ઓઢવ ફાયર સ્ટેશન વેઠી રહ્યું છે. હવે આ સ્ટેશન રહેવા લાયક ન રહેતા અને જોખમી બની જતા તેને ખાલી કરવું પડયું છે. છેલ્લા દોઢેક માસથી નિકોલ ફાયર સ્ટેશન ખાતેના સ્ટાફ ક્વાટર્સમાં ઓઢવના કર્મચારીઓને ખસેડવામાં આવ્યા છે. હવે જ્યારે રિડેવલોપમેન્ટ યોજના હેઠળ ઓઢવ ફાયર સ્ટેશન નવું બનશે ત્યારે જ તેમાં રહેવા આવી શકાશે.
હાલમાં ઓઢવ ફાયર સ્ટેશને 3 શિફ્ટમાં કામ કરવા માટે કર્મચારીઓ આવે છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓને ત્યાં સ્ટેન્ડ ટુ રખાઇ છે.
નોંધપાત્ર છેકે પાચકુવા ફાયર સ્ટેશનની હાલત પણ અતિ જર્જરિત છે. ગમે ત્યારે મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે. હેરિટેજ વિભાગ દ્વારા પાંચકુવાના ફાયર સ્ટેશનને જળમુળથી નવું બનાવવાની મંજૂરી આપતા નથી તેથી મામલો વધુ ગુંચવાયો છે. સ્ટાફને સલામતી ખાતર નરોડા જીઆઇડીસીમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં અલગ વિસ્તાર પડી જતા તમામ સ્ટાફ લાગવગ વાપરીને પાછો મૂળ સ્થળે આવી ગયો છે. હાલ પાંચકુવા ફાયર સ્ટેશનમાં સ્ટાફ જીવના જોખમે રહેવા મજબૂર છે.
પાંચ કુવાનું ફાયર સ્ટેશન જર્જરિત, અકસ્માતનો ભય
અમદાવાદમાં ફાયર સ્ટેશનોની હાલત ખરાબ છે. નવા બનેલા ફાયર સ્ટેશનોમાં પણ નબળું અને હલકી ગુણવત્તાવાળું કામ થયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. નવા બાંધકામમાં પણ ચોમાસામાં ધાબામાંથી પાણી ટપકવાની સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રહલાદનગર, ચાંદખેડા, થલતેજ, અસલાલી, નવરંગપુરા, ગોમતીપુર, નરોડા સહિતના નવા બનેવા ફાયર સ્ટેશનોમાં ધાબામાંથી પાણી ચુ વાની સમસ્યા છે. અગાઉ વિજિલન્સ તપાસની માંગણી પણ ઉઠવા પામી હતી. દાણાપીઠનું મુખ્ય હેડ ક્વાટર પણ તોડી પડાયા બાદ હજુ સુધી નવું બનાવવાની કામગીરી આરંભાઇ નથી. ભાવ વધારાને જોતા કોન્ટ્રાક્ટરે ૫૦ લાખનો ભાવ વધારો માંગતા મ્યુનિ.તંત્રે તે આપવાનો ઇન્કાર કરતા હાલ કામગીરી અટકી છે, નવા ટેન્ડરની પણ પ્રક્રિયા હાથ ધરાઇ નથી.
આથી જમાલપુર ખાતેના નવા ફાયર સ્ટેશન ખાતેના ઓફિસર ક્વાટર્સમાં જ ચીફ ઓફિસર બેસે છે અને વહિવટી સ્ટાફ પણ ત્યાં બેસવા મજબૂર છે. ૭૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં ફાયર બ્રિગેડને વધુ મજબૂત, સુવિધાયુક્ત, સાધનસરંજામ યુક્ત બનાવવાની તાતી જરૂરીયાત છે.




