Gujarat

યુરો સ્કૂલે દસ્તાવેજો રજૂ ન કરતા માન્યતા મુદ્દે શોકોઝ નોટિસ

By GS Team
20 Nov 20212 mins read
This article was originally published on 20 Nov 2021

અમદાવાદ

શહેરના થલતેજ-હેબતપુર વિસ્તારમાં આવેલી યુરો સ્કૂલની મનમાની સામે અંતે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ લાલ આંખ કરતા માન્યતા રદ કરવા મુદ્દે સરકારને કેમ ભલામણ ન કરવી તે અંગે શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.એફઆરસીના તપાસના આદેશને પગલે ડીઈઓએ શરૃ કરેલી તપાસમાં સ્કૂલે સહકાર ન આપી દસ્તાવેજો રજૂ કર્યા ન હતા.

યુરો સ્કૂલના વાલી દ્વારા ફી રેગ્યુલેશન કમિટીને વધુ ફી લેવા અંગેની ફરિયાદ કરવામા આવી હતી. સ્કૂલ સામેની વાલીની ફરિયાદને પગલે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદ ગ્રામ્ય ડીઈઓને તપાસ કરવાનો આદેશ કરવામા આવ્યો હતો.ડીઈઓએ અધિકારીઓને સ્કૂલ પર મોકલી તપાસ શરૃ કરી હતી .અમદાવાદ ગ્રામ્ય ડીઈઓના જણાવ્યા અનુસાર સ્કૂલ પાસેથી ફી,અધર એકટિવિટી અને તેની ફી સહિતના વિવિધ દસ્તાવેજો-રેકોર્ડ માંગવામા આવ્યા હતા.સ્કૂલ પાસેથી એનઓસી-માન્યતા અંગેના કાગળો પણ માંગવામા આવ્યા હતા પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પણ જાતના દસ્તાવેજો રજૂ કરવામા આવ્યા નથી અને ડીઈઓની તપાસમાં કોઈ પણ જાતનો સહકાર આપવામા આવતો નથી.

અગાઉ આ સ્કૂલને પાંચ લાખનો દંડ કરવા ફી કમિટીને ભલામણ કરાઈ હતી ત્યારબાદ સ્કૂલની મનમાની ચાલુ રહેતા સ્કૂલ પાસે કોઈ પણ જાતના દસ્તાવેજો હયાત ન હોવાનું જણાતા શો કોઝ નોટિસ ફટકારી છે.જેમાં સ્કૂલે તેની સામે એનઓસી-માન્યતા રદ કરવાના  પગલા કેમ ન લેવા તે અંગે જવાબો રજૂ કરવાનો રહેશે અને જે સાત દિવસમાં આપવાનો રહેશે.જો સ્કૂલ દ્વારા જવાબ રજૂ નહી કરાય અને દસ્તાવેજો રજૂ કરવામા નહી આવે તો ડીઈઓ દ્વારા સીબીએસઈ અને ગુજરાતના શિક્ષણ વિભાગને માન્યતા -એનઓસી રદ કરવા મુદે ભલામણ કરવામા આવશે.સ્કૂલે આરટીઈ અને સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ જરૃરી તમામ દસ્તાવેજો રાખવાના હોય છે અને ડીઈઓ કચેરી સમક્ષ જરૃર પડે રજૂ કરવાના હોય છે.આ અંગે સ્કૂલના મેનેજમેન્ટના પ્રતિનિધિનો સંપર્ક કરતા તેઓએ આ અંગે તેઓને કોઈ જાણ ન હોય અને કશું જ કહે તેમ ન હોવાનું જણાવ્યું હતું.