Gujarat

વૃદ્ધોને સરકારી સહાય માટે ઉંમરનો દાખલો કાઢી આપવામાં ઠાગાઠૈયા

By GS Team
11 Nov 20212 mins read
This article was originally published on 11 Nov 2021
વૃદ્ધોને સરકારી સહાય માટે ઉંમરનો દાખલો કાઢી આપવામાં ઠાગાઠૈયા

અમદાવાદ,તા.11 નવેમ્બર 2021, ગુરૂવાર

અમદાવાદમાં ઉંમરનો દાખલો કાઢી આપવામાં મ્યુનિ.તંત્રની લાલીયાવાડી જોવા મળી રહી છે જેના કારણે વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન માટેના અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે. અરજદારો વિવિધ અર્બન હેલ્થ સેન્ટરોના ધક્કા ખાઇ રહ્યા છે. હદ નથી, સત્તા નથી જેવા વિવિધ કારણો આગળ ધરીને લોકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જેના કારણે હજારો વૃદ્ધો સરકારી સહાયથી વંચિત રહી જવા પામ્યા છે. 

નારણપુરામાં વિજયનગર ચાર રસ્તા પાસેની શિવાનંદ સોસાયટીમાં રહેતા ૯૦ વર્ષના વિમળાબેન મોહનલાલ શાહ વિધવા છે અને એકાંકી જીવન જીવી રહ્યા છે. વિધવા સહાય માટે તેઓ આ ઉંમરે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. 

તેઓની પાસે ઉંમરનો દાખલો ન હોવાથી તેઓ વિવિધ અર્બન હેલ્થ સેન્ટરોના ધક્કા ખાઇ રહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ નારણપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં તેઓ ઉંમરના દાખવા માટે ગયા હતા. તમારો વિસ્તાર અમારી હદમા ંઆવતો નથી તેવું  કહીને તેઓને ે વાડજ અને શાંતિનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોકલવામા ંઆવ્યા હતા. ત્યાંથી પણ ઉપરોક્ત જવાબ જ મળ્યો હતો.

કંટાળીને વૃદ્ધા નારણપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા ત્યારે તેઓને પછી કહેવામાં આવ્યું કે હા તમારો વિસ્તાર અમારી હદમાં આવે છે. આમ ૯૦ વર્ષીય વૃદ્ધાએ ઉંમરના દાખલા માટે ભટકવાનો વારો આવ્યો છે. શહેરમાં વસતા લાખો વૃદ્ધોની આ દશા છે. તેઓને વિધવા સહાય કે પછી વૃદ્ધ પેન્શન મેળવવા માટે ઉંમરનો દાખલો કાઢી આપવામાં ભારે ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે.