Gujarat

હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહીના આદેશ વચ્ચે શહેરમાં રખાતા પશુઓને લઈ મ્યુનિ.તંત્રે કરેલો વિવાદાસ્પદ પરિપત્ર

By GS Team
13 Nov 20212 mins read
This article was originally published on 13 Nov 2021
હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહીના આદેશ વચ્ચે શહેરમાં રખાતા પશુઓને લઈ મ્યુનિ.તંત્રે કરેલો વિવાદાસ્પદ પરિપત્ર

અમદાવાદ,શનિવાર,13 નવેમ્બર,2021

ગુજરાત હાઈકોર્ટ તરફથી શહેરમાં રખડતા પશુઓને મામલે મ્યુનિસિપલ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપેલા છે.આ આદેશની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ તરફથી તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને મોકલવામાં આવેલો પરિપત્ર વિવાદનું કેન્દ્ર બનવા પામ્યો છે.વિવાદનું કારણ એ છે કે,પરિપત્રમાં એક તરફ એમ કહેવામાં આવ્યું છે કે, રસ્તા ઉપર રખડતા પશુઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ સાથે કે અન્ય પ્રકારેપશુઓને  બાંધી રાખવામાં આવતા ગેરકાયદે દબાણો દુર કરવા જરૃરી છે.તો આ જ પરિપત્રમાં પશુઓને રાખવામાં આવતા સ્થળોની આકારણી કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્ષની આવકમાં વધારો થઈ શકે એ માટે જરૃરી પગલા ભરવા કહેવામાં આવ્યું છે.આમ મ્યુનિસિપલ તંત્ર પોતે જ સ્પષ્ટ નથી કે,તે હાઈકોર્ટના આદેશ મુજબ શહેરમાંથી રખડતા પશુઓ મામલે કાર્યવાહી કરવા માંગે છે કે પછી આ પ્રવૃત્તિ સામે મ્યુનિસિપલ ટેક્ષ વસુલીને તેને કાયદેસરતા આપવા માંગે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,૧૬ ઓકટોબર-૨૦૨૧ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર-ત્રાસ અંકુશ વિભાગ તરફથી તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને સંબોધતો એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે.આ પરિપત્રમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પટ પીટીશન અરજીનો ઉલ્લેખ કરી કરવાપાત્ર જરૃરી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત  પશુમાલિકો દ્વારા રોડ,રસ્તા, ફૂટપાથ ,સ્ટ્રીટ લાઈટના પોલ સાથે બાંધે, સરકારી જગ્યા, મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા,પ્લોટમાં,કાચા-પાકા શેડ,પતરા લગાવી, અથવા ખુલ્લામાં ઘાસચારો, પશુઓ રાખતા હોય એવા ગેરકાયદેસર દબાણો દુર કરવા જરુરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઉપરાંત વોર્ડમાં ઘાસ વેચાણના તથા મોટી સંખ્યામાં જાહેરમાં ઉભા રહેતા પશુઓના સ્થળો તેમજ પશુઓ રાખવાના સ્થળો,વાડા, દબાણો, પ્લોટો વગેરે સ્થળોએ ચકાસણી કરી સરકારી પ્લોટમાં બનાવેલા વાડા,શેડ જેવા ગેરકાયદેસર દબાણો દુર કરવા કાર્યવાહી કરી પશુઓને રાખવાના સ્થળોએ પાણી માટે લેવામાં આવેલા ગેરકાયદે જોડાણો દુર કરવાથી પાણીનો વ્યય,બગાડ અટકી શકશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિપત્રની સૌથી મોટી વિવાદાસ્પદ બાબત તો એ છે કે, એક તરફ તો ઢોર ત્રાસ અંકુશ વિભાગ પશુઓ રખાતા હોય એવા ગેરકાયદે દબાણો દુર કરવા જરુરી હોવાનું કહે છે.આ જ પરિપત્રમાં પશુ માલિકો દ્વારા જગ્યા,સ્થળોમાં રાખવામાં આવતા પશુઓના સ્થળો,તબેલા વગેરેના સ્થળોની ચકાસણી કરી નિયમાનુસાર,મ્યુનિસિપલ ટેક્ષની આકારણી તથા વસુલાત થવાથી મ્યુનિ.ની આવકમાં વધારો થઈ શકશે એમ કહેવામાં આવ્યું છે.પશુઓને રાખવાની જગ્યા,સ્થળોનો બાકી મ્યુનિસિપલ ટેક્ષ વસુલવા વિવિધ પગલા ભરવા કહેવામાં આવ્યુ છે. પરિપત્ર બાદ લોકોમાં સાંભળવા મળતી ચર્ચા મુજબ, મ્યુનિસિપલ તંત્ર ખરેખર શુ કરવા માંગે છે? હાઈકોર્ટના આદેશ મુજબ,શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકિત અપાવવા માંગે છે કે પછી પશુઓને રાખવામાં આવતી જગ્યાઓનો ટેક્ષ વસુલી તેને કાયદેસરતા આપવા માંગે છે?