Gujarat

બેન્ક ઓફ બરોડાની હરણી બ્રાન્ચમાં સાતમાંથી ૬ બેન્ક કર્મચારી પોઝિટિવ

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
બેન્ક ઓફ બરોડાની હરણી બ્રાન્ચમાં સાતમાંથી ૬ બેન્ક કર્મચારી પોઝિટિવ

વડોદરાઃ કોરોનાની બીજી લહેરમાં સંખ્યાબંધ બેન્ક કર્મચારીઓ પણ સંક્રમિત થયા હતા અને હવે  કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બેન્કોમાં ફરી એક વખત કોરોનાના સંક્રમણનો પ્રવેશ થયો છે.

બેન્કોમાં અને ખાસ કરીને સરકારી બેન્કોમાં ગ્રાહકોની ભીડભાડ વધારે રહેતી હોય છે.આ સંજોગોમાં હરણી,સંગમ ચાર રસ્તા પાસે આવેલી બેન્ક ઓફ બરોડાના એક કર્મચારીને બાદ કરતા બાકીના તમામ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.મળતી વિગતો પ્રમાણે આ બ્રાન્ચમાં સાત કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેમાંથી ૬ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બ્રાન્ચ બંધ કરી દેવામાં આવી છે.

બેન્કના સૂત્રોએ કહ્યુ હતુ કે, હાલમાં તો ૩ દિવસ માટે બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.એ પછી આગળનો નિર્ણય લેવામાં આવશે.સાથે-સાથે બેન્ક ઓફ બરોડાની લહેરીપુરા બ્રાન્ચના એક કર્મચારીને પણ કોરોના થયો હોવાનુ જાણવા મળ્યુ છે.

બેન્કોમાં રોજ સેંકડો લોકોની અવર જવર થતી હોય છે ત્યારે કર્મચારીઓના સંપર્કમાં આવનારા ગ્રાહકોના પણ સંક્રમિત થવાની શક્યતા વધી ગઈ છે.એમ પણ લહેરીપુરા અને સંગમ ચાર રસ્તાની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગ્રાહકોની ભીડભાડ વધારે રહેતી હોય છે.

કોરોનાની બીજી લહેરમાં વડોદરાના છેવાડે આવેલી ગુજરાત સરકારની કંપની જીએસએફસીમાં સેંકડો કર્મચારીઓ કોરોનાના સપાટામાં આવ્યા હતા.હવે ફરી એક વખત કંપનીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.કંપનીના એચઆર વિભાગના એક અધિકારી, મેનેજમેન્ટના એક ટોચના અધિકારી સહિત ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવતા જીએસએફસીના કર્મચારીઓમાં ફરી ફફડાટ ફેલાયો છે.