Gujarat

ડાકોર રણછોડ મંદિરમાં દીવાદાંડી દેખાડનારનું હાર્ટએટેક આવતા મૃત્યુ

By GS Team
18 Jul 20231 min read
This article was originally published on 18 Jul 2023
ડાકોર રણછોડ મંદિરમાં દીવાદાંડી દેખાડનારનું હાર્ટએટેક આવતા મૃત્યુ

- ઘૂમ્મટમાંથી બહાર લાવી સીપીઆર આપ્યો પણ ન બચ્યા

- રવિવારે ભારે ભીડ વખતે મંદિર પરિસરમાં જ હૃદય રોગનો હુમલો આવ્યો અને ઢળી પડયા

ડાકોર : પહેલાના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રિક લાઈટો ન હતી ત્યારે દીવાદાંડીનો ઉપયોગ થતો હતો. તે પરંપરા મુજબ નિયમિત સખાડીભોગના દર્શન સમયે રણછોડજી સમક્ષ હાજરી આપતા ડાકોરના ઠાકોરજીના મંદિરમાં પાર્ટ ટાઈમ ફરજ બજાવતા કર્મચારીને મંદિર પરિસરમાં હૃદય રોગના હુમલાથી મૃત્યું થયું હતું.

રવિવારે સાંજે ૬ વાગ્યાના અરસામાં ડાકોર મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી ફરજ બજાવતા ભીખાભાઇ દશરથભાઈ વાંદળને અચાનક છાતીમાં દુઃખાવો થતા મંદીરમાં જ ઢળી પડયા હતા. ત્યારે મંદિરમાં ફરજ હાજર રહેલા પીએસઆઇ એ.એસ.ચૌધરી તથા હેડકોન્સ્ટેબલ અંબાલભાઈએ ભીખાભાઇને ઘૂમ્મટમાંથી બહાર લાવીને તાત્કાલીક સીપીઆર થેરાપી આપી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 ભારે ભીડ હોવાથી ડાકોરમાં સેવાકીય પ્રવૃતી કરતી ઓટોરિક્ષામાં ડાકોર રેફરલ હોસ્પિટલે લઈજવામાં આવ્યા હતા પરંતુ ડાકોર રેફરલ હોસ્પિટલમાં ભીખાભાઈને લઈને પહોંચ્યા ત્યારે તેમનંલ મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં સારવાર કરતા ડોક્ટરે તેમને યોગ્ય તાપસ કર્યા પછી મૃત જાહેર કર્યા હતા.

ભીખાભાઇ દશરથભાઈ વાંદળ ડાકોર રણછોડજી મંદિરમાં રોજના ૬૬ રૂપિયાના વેતનથી સખાડી ભોગ સમયે એક કલાક મસાલ પ્રગટાવી ઉભા રહેતા હતા. અગિયારસ કે ઠાકોરજીની સવારી રાત્રી દરમ્યાન નીકળે તો તેઓ મસાલ સાથે સવારીમાં જોડાતા હતા. આ તેમના વંશ પરંપરાથી ચાલતું હતું. તેવો ૪૦ વર્ષથી ડાકોરના ઠાકોરની સેવામાં હાજરી આપતા હતા.