Gujarat

તમને ખબર છે પાકિસ્તાન ક્રિકેટનુ ગુજરાત કનેક્શન.. વાંચો અહી..

By GS Team
15 Feb 20223 mins read
This article was originally published on 15 Feb 2022
તમને ખબર છે પાકિસ્તાન ક્રિકેટનુ ગુજરાત કનેક્શન.. વાંચો અહી..

જૂનાગઢ, તા. 15 ફેબ્રુઆરી 2022 મંગળવાર

વાત કરવી છે આજે પાકિસ્તાની ક્રિકેટના જૂનાગઢ કનેક્શનની...પાકિસ્તાનની ક્રિકેટ ટીમના 10983 રન-80 વિકેટ-29 સદી-47 અડધી સદીમાં પણ જૂનાગઢનો ફાળો છે. આ વાત જાણીને નવાઇ લાગી તો ચાલો તેના રસપ્રદ કારણ સુધી જઇએ...

'લીટલ માસ્ટર' આ સંબોધન સાથે જ સુનીલ ગાવસ્કર કે સચિન તેંડુલકર જ યાદ આવે તે સ્વાભાવિક છે પરંતુ 'લિટલ માસ્ટર'નું તરીકે સૌપ્રથમ કોઇ ઓળખાયું હોય તો તે હનિફ મોહમ્મદ છે. હનિફ મોહમ્મદનો જન્મ 21 ડિસેમ્બર 1934માં જૂનાગઢ ખાતે થયો હતો. સૌરાષ્ટ્ર-ગુજરાત માટે રણજી ટ્રોફીમાં રમી ચૂકેલા અને 'સિક્સર ઓન ડિમાન્ડ' તરીકે જાણીતા એવા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીના પિતા અબ્દુલ અઝિઝે હનિફ મોહમ્મદને ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી. હનિફ મોહમ્મદે 1958માં વેસ્ટ ઇન્ડીઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં 970 મિનિટ (16 કલાક 10 મિનિટ)ની મેરાથોન ઇનિંગ્સમાં 337 રન નોંધાવ્યા હતા. પાકિસ્તાન માટે સર્વોચ્ચ વ્યક્તિગત ટેસ્ટ સ્કોરનો આ રેકોર્ડ આજે પણ હનિફ મોહમ્મદને નામે અકબંધ છે.

હનિફ મોહમ્મદે 1952થી 1969 દરમિયાન પાકિસ્તાન માટે 55 ટેસ્ટમાં 3915 રન કર્યા હતા. હનિફ મોહમ્મદના બંધુઓ વઝિર મોહમ્મદ,મુશ્તાક મોહમ્મદ, સાદિક મોહમ્મદનો પણ જન્મ જૂનાગઢમાં થયો અને તેઓ પાકિસ્તાન માટે રમ્યા હતા. 1970 સુધી ભાગ્યે જ કોઇ એવી ટેસ્ટ હશે કે જેમાં એકપણ મોહમ્મદ બ્રધર્સ પાકિસ્તાનની ટીમમાં હોય નહીં.આ મોહમ્મદ બ્રધર્સે કુલ 173 ટેસ્ટમાં 10938 રન-29 સદી-47 અડધી સદી ફટકારવા ઉપરાંત 80 વિકેટ પણ ખેરવી હતી. આ મોહમ્મદ બ્રધર્સના માતા અમીર બી સ્વતંત્રતા અગાઉ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન રહી ચૂક્યા છે. 

આ ઉપરાંત જાવેદ મિયાંદાદનો 1957ની સાલમાં ભલે કરાચીમાં થયો હોય પણ તેમના મૂળિયા પાલનપુરમાં છે.ભાગલા અગાઉ મિયાંદાદના પિતા અમદાવાદમાં નોકરી કરતા હતા. મિયાંદાદ યુવાન થયા ત્યાં સુધી તેમના ઘરમાં ઉર્દુ બાદ સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી હતી. આવી જ રીતે 'એશિયન બ્રેડમેન' તરીકે ઓળખાતા ઝહિર અબ્બાસના પિતા ગોધરાના હતા.  

આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 14 ક્રિકેટર્સ એવા છે જેઓ એક નહીં પણ બે ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ પૈકી ત્રણ ક્રિકેટર એવા છે જે ભારત અને પાકિસ્તાન એમ બંને ટીમ માટે રમ્યા છે. વાત જાણે એમ છે કે 1932ના વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ સૌપ્રથમ વખત ટેસ્ટ મેચમાં રમી હતી. આ પછી 1932થી સ્વતંત્રતા મળી ત્યાં સુધી ભારત કુલ 10 ટેસ્ટ મેચમાં રમી ચૂક્યું હતું. આ સમયગાળામાં ત્રણ ક્રિકેટર એવા હતા કે જેઓ સ્વતંત્રતા અગાઉ ભારત અને ત્યારબાદ પાકિસ્તાન માટે રમ્યા હતા, જેમાં ગુલ મોહમ્મદ-અબ્દુલ કારદાર-આમિર ઇલાહીનો સમાવેશ થાય છે. 

છેલ્લે...સચિન તેંડુલકરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું તેનાથી તો દરેક ક્રિકેટપ્રેમી વાકેફ છે પરંતુ એ વાત જાણીને નવાઇ લાગશે કે ટેસ્ટ ડેબ્યુના બે વર્ષ અગાઉ 1987માં પાકિસ્તાનની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. 1987માં પાકિસ્તાનની ટીમ વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત સામે એક્ઝિબિશન મેચ રમવા આવી હતી. 

લંચ બાદ જાવેદ મિયાંદાદ-અબ્દુલ કાદિર ગ્રાઉન્ડમાં પરત નહીં ફર્યા હોવાથી એક્સ્ટ્રા તરીકે રમી રહેલા સચિન તેંડુલકરને પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ પહેરવાની સૂચના અપાઇ હતી. ઇમરાન ખાને સચિનને લોંગ ઓનમાં ફિલ્ડિંગ માટે ઉભા રહેવા કહ્યું હતું. બેટિંગ કરી રહેલા કપિલદેવે એ જ દિશામાં ઊંચો શોટ ફટકાર્યો હતો. જોકે, 15 મીટર દોડવા છતાં સચિન તેંડુલકર કેચ પકડી શક્યો નહોતો.