જૂનાગઢ: ભવનાથમાં વાઘેશ્વરી મંદિર નજીક એકલા રહેતા આધેડની છરીના ઘા ઝીંકી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Crime News: જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિર નજીક અગમ્ય કારણોસર ત્રણ શખસોએ એક આધેડ પર જીવલેણ હુમલો કરી, બેરહેમીપૂર્વક ઢોર માર મારી અને છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી છે. 13મી જુલાઈની મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતક 7 વર્ષથી ભવનાથમાં એકલો રહેતો હતો
મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ 45 વર્ષીય ભરત મકવાણા તરીકે થઈ છે. તે મૂળ ઈશ્વરિયા ગામના વતની હતો અને છેલ્લા સાતેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં એકલા રહીને પોતાનું જીવન ગુજારતા હતા. ઘટનાની જાણ થતાં જ ભવનાથ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે શંકાસ્પદોને પકડ્યા
આ ઘાતકી હત્યાના સમાચાર મળતાં જ મૃતકના પરિવારજનો જૂનાગઢ દોડી આવ્યા હતા. પરિવારજનોએ ભારે આક્રંદ સાથે ન્યાયની ગુહાર લગાવતા માગ કરી છે કે, આ જઘન્ય અપરાધ પાછળ જવાબદાર તમામ આરોપીઓ સામે પોલીસ કડક કાયદેસરની ફરિયાદ નોંધીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા અપાવે.
પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાંથી શંકાસ્પદ ત્રણ શખસોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.









