છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની પ્રતિકાત્મક રથયાત્રા, 12 દિવસીય ઉત્સવનો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: અષાઢી બીજના પાવન અવસરે જામનગરમાં આજે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના પૂજન સાથે પ્રતિકાત્મક રથયાત્રા (ઘોષયાત્રા) યોજાશે. ખંભાળિયા રોડ નજીક સિદ્ધનાથ સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરમાં આજથી 12 દિવસીય ધાર્મિક ઉત્સવનો પ્રારંભ થશે.
મંદિરના સેવક સમૂહ દ્વારા આજે બપોરે ૨ વાગ્યે વિશેષ પૂજા બાદ મંદિર પરિસરમાં પ્રતિકાત્મક શોભાયાત્રા યોજાશે. આ ઉત્સવ આગામી ૧૨ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે.
આયોજકોના જણાવ્યા મુજબ તા. 24 જુલાઈએ અષાઢ સુદ દશમે બાહુડા યાત્રા યોજાશે, જેમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી માસીના ઘરેથી પરત ફરશે. ત્યારબાદ તા. 27 જુલાઈએ નીલાદ્રી બીજે ભગવાનનો મંદિરમાં પુનઃપ્રવેશ કરાવી વિશેષ ઉત્સવ ઉજવાશે. મંદિર સાથે સંકળાયેલા મોટાભાગના ભક્તો ઓડિશા રાજ્યના હોવાથી પરંપરાગત વિધિ મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શહેરમાં તા. 18 જુલાઈ, શનિવારે બપોરે 3:30 વાગ્યે ઈસ્કોન સંસ્થા દ્વારા ભવ્ય રથયાત્રા યોજાશે. યાત્રા એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર આવેલા શ્રીજી હોલ પાસેથી પ્રસ્થાન કરીને સત્યમ કોલોની, હીરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, ખંભાળિયા ગેટ, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદી બજાર, સજુબા સ્કૂલ, બેડી ગેટ, ટાઉનહોલ અને કે.વી. રોડ થઈ પોટરી ગલી પાસે પૂર્ણ થશે.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, સત્સંગ મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ જોડાશે. શહેરના વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા યાત્રાનું માર્ગમાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે.
સાંજે રાજકોટ હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિરમાં રાત્રે 8:00 વાગ્યે ચૈતન્ય મહાપ્રભુદાસજીનું આધ્યાત્મિક પ્રવચન, ત્યારબાદ મહા આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું છે.









