Jamnagar

‘છોટી કાશી’ જામનગરમાં શ્રાવણમાસના અંતિમ સોમવારે શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરની ‘છોટી કાશી’માં શ્રાવણના અંતિમ સોમવારે ભક્તિનો મહાસાગર ઉમટ્યો હતો. શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા. સિદ્ધનાથ, ભીડભંજન જેવા મંદિરોમાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભક્તોએ જળાભિષેક અને બિલિપત્ર અર્પણ કરી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘છોટી કાશી’ જામનગરમાં શ્રાવણમાસના અંતિમ સોમવારે શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો

Jamnagar Sharavan Special : ‘છોટી કાશી’ તરીકે પ્રચલિત અને નાના-મોટા અસંખ્ય શિવાલયોથી શોભતા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે આજે વહેલી સવારથી જ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો. શ્રાવણના છેલ્લા સોમવારના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથના દર્શન માટે શહેરના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓની કતારો જોવા મળી હતી અને ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ના જયઘોષથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.
શ્રાવણના સોમવારનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી અંતિમ સોમવારે પણ ભક્તોએ વહેલી સવારથી શિવલિંગ પર જળાભિષેક કરી બિલિપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી હતી. અનેક શિવાલયોમાં ભક્તો દ્વારા રુદ્રાભિષેક સહિતની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
જામનગરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરના મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી.
અંતિમ સોમવાર હોવાથી અનેક પરિવારો વહેલી સવારથી જ સામૂહિક રીતે શિવાલયોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર પવિત્ર જળ ચઢાવી બિલિપત્ર અર્પણ કર્યા હતા અને ભગવાન શિવ સમક્ષ મનોકામનાઓ વ્યક્ત કરી હતી. કેટલાક ભક્તોએ ઉપવાસ રાખી ધાર્મિક અનુષ્ઠાન સાથે શ્રાવણના અંતિમ સોમવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
અંતિમ સોમવારે શિવાલયોમાં વિશેષ ધાર્મિક માહોલ
શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવાલયોમાં દર્શન માટે આવેલા ભક્તોના કારણે સમગ્ર શહેરમાં જાણે શિવમય વાતાવરણ સર્જાયું હતું.
આમ, પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ‘છોટી કાશી’ જામનગરના વિવિધ શિવાલયોમાં આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ભગવાન ભોળાનાથના દર્શન માટે ઉમટેલા શિવભક્તોના મુખે એક જ જયઘોષ સંભળાતો રહ્યો હતો—‘હર હર મહાદેવ… બમ બમ ભોલે…’