જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી પરત ફરતાં આંશિક રાહત, 17 ડિગ્રી તાપમાન

- ભેજના પ્રમાણમાં પણ નહિવત ઘટાડાથી વહેલી સવારે ઝાકળનું પ્રમાણ ઘટ્યું: પવનની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો
જામનગર, તા. 24 ડિસેમ્બર
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા પછી ધીમે ધીમે ઠંડીનો પારો પરત ફરી રહ્યો છે, જેના કારણે આજે ઠંડીમાં રાહત જોવા મળી છે. બે દિવસ પહેલા તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ રહ્યો હતો, ત્યાંથી પરત ફરીને 17 ડિગ્રી સુધી ઉપર ચડી જતાં ઠંડીમાં રાહત અનુભવાઇ રહી છે. ગઈકાલે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું અને ગાઢ ધુમ્મસને ચાદર છવાઇ હતી. જેમાં પણ આજે ઘટાડો નોંધાયો છે.
જામનગર શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું જેમાં ગઈકાલે બદલાવ આવ્યો હતો અને ગાઢ ધુમ્મસ સાથે ભેજ પ્રવેશી ચુક્યો હતો. જેમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભેજનું પ્રમાણ 89 ટકા જેટલું રહ્યું હોવાથી ઝાકળ વર્ષાના કારણે માર્ગો ભીંજાયા હતા. પરંતુ વીજીબીલીટીમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જેથી વાહન ચાલકો માટે થોડી રાહત થઇ હતી.
ઠંડીનો પારો 7 ડિગ્રી સુધી પરત ફર્યો છે, ઉપરાંત પવનની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો હોવાથી આજે ઠંડીથી લોકોએ રાહત અનુભવી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 કિમીની ઝડપે રહી હતી જે વધીને 20 કી.મી. સુધી પહોંચી હતી.




