Gujarat

જામનગર શહેરના નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજ માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

By GS Team
7 Feb 20223 mins read
This article was originally published on 7 Feb 2022
જામનગર શહેરના નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજ માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

- ભારે પોલીસ બંદોબસ્તની સાથે 30 મીટરના ડી.પી. રોડમાં કપાતની કાર્યવાહી: 27 મિલકત ધારકોને અસર

- ચાર ટ્રેક્ટર-બે જેસીબી મશીન- 15 પોલીસ અને 22 એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરાયું

જામનગર, તા. 07 

જામનગર શહેરમાં નવા નિર્માણાધીન સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર બ્રિજ માટે ૩૦ મીટરના ડીપી રોડની કપાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને તેના અનુસંધાને આજે સવારે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે ડિમોલિશનમાં પાંચ સરકારી જ્યારે 27 ખાનગી મિલકતો માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને કુલ 1158 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બે મંદિર સહિત ત્રણ ધાર્મિક સંસ્થાનો અને પાંચ સરકારી મિલકતો વગેરેનો પણ સમાવેશ થાય છે.

જામનગરની એસ્ટેટ શાખાના 22 કર્મચારીઓ દ્વારા બે જેસીબી અને ચાર ટ્રેક્ટરની મદદથી ડીમોલેશન કાર્ય હાથ ધરાયું હતું, જે માટે એક પી.એસ.આઈ.ની રાહબરી હેઠળ 15 પોલીસ જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જેઓની હાજરીમાં ડીમોલેશન શરૂ કરી દેવાયું છે.


જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર અઢી કિલોમીટર લાંબો ફલાય ઓવર નિર્માણ પામી રહ્યો છે. અને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના સૌથી મોટા પ્રોજેક્ટ એવા નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુની. કમિશનર વિજય કુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ અને નવા બ્રિજના નિર્માણ કાર્યના મુખ્ય પ્રોજેક્ટ ઇન્ચાર્જ ભાવેશ જાની દ્વારા સુપરવિઝન કરીને બ્રિજનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે.

ત્યારે આજે ૩૦ મીટરના ડી.પી. રોડ પહોળો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવા ફ્લાયઓવર ના નિર્માણ માટે કુલ 27 ખાનગી મિલકતોમાં કપાત થઇ રહી છે અને તેમાં 27 માલિકો અને તે પૈકીના બે ભાડુઆતો અસરકર્તા છે.

કુલ 1158 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે. જેમાં ત્રણ રહેણાક મકાનો આવેલા છે. 23 બીન રહેણાંક મિલકતની સંખ્યા છે, ઉપરાંત ફોરેસ્ટ ઓફિસ, ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને સરકારી પ્રાથમિક શાળા સહિતની પાંચ સરકારી મિલકતો નો સમાવેશ થાય છે. જ્યારે 15 જેટલી દુકાનો આવેલી છે. આ ઉપરાંત 2 મંદિર તથા એક ચર્ચ સહિતના ત્રણ ધાર્મિક સ્થળો નો પણ સમાવેશ થયેલો છે.


સમગ્ર રસ્તાની કુલ લંબાઈ અઢી કિલોમીટરની છે. જે લંબાઈ વાળા માર્ગ પર રોડની બન્ને સાઈડ ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું છે. ઓવરબ્રિજના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ભાવેશ જાનીની હાજરીમાં આજે સવારે એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી રાજભા ચાવડા, અને સુનિલ ભાનુશાળીની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાના 22 કર્મચારીઓ બે જેસીબી મશીન, ચાર ટ્રેક્ટર વગેરે સાથે ઈન્દિરા માર્ગ પર પહોંચ્યા હતા, અને સૌપ્રથમ ચર્ચની દિવાલનું ડીમોલેશન કરાયું હતું. આ વેળાએ એક પી.એસ.આઈ સહિતના પોલીસ જવાનોનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને એકંદરે શાંતિપૂર્ણ રીતે ડીમોલેશન કાર્ય શરૂ થઇ ગયું છે. તમામ દબાણ કર્તાઓને અગાઉથી નોટિસ આપી દેવાઇ હતી, જેના અનુસંધાને આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જે તમામ જમીન ખુલ્લી થયા પછી તેના પર ડામર કાર્પેટ પાથરીને સર્વિસ રોડ બનાવી દેવામાં આવશે, ત્યાર પછી પુલના નિર્માણનું કાર્ય આગળ ધપાવવામાં આવશે.