જામનગર તાલુકાના જામવંથલી ગામમાં જેટકો કંપની ના ટ્રાન્સફોર્મર ના રીપેરીંગ કામ દરમિયાન સર્જાઈ ગોઝારી દુર્ઘટના

- ટ્રાન્સફોર્મર માં બ્લાસ્ટ થવાથી જેટકો કંપનીના લાઈનમેનનું ગંભીર સ્વરૂપે દાઝી ગયા પછી સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ
જામનગર તા ૧૫,
જામનગર તાલુકાના જામવંથલી ગામ માં જેટકો કંપનીના વીજ ટ્રાન્સફોર્મર ની મરામતની કામગીરી દરમિયાન ટ્રાન્સફોર્મર ની અંદર રહેલું કેપેસીટર ફાટતાં બ્લાસ્ટ થયો હતો, અને મરામતની કામગીરી કરી રહેલા એક લાઈનમેન નું ગંભીર સ્વરૂપે દાઝી ગયા પછી સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ બનાવને લઇને વીજતંત્રના ભારે દોડધામ થઇ હતી, જયારે મૃતકના પરિવાર માં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ વિજ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા અને જેટકો કંપની મા લાઇનમેન તરીકે ફરજ બજાવતા માલશીભાઇ બાનાભાઈ ડગરા ના ૫૭ વર્ષના વીજ કર્મચારી ગત તારીખ ૩૦.૧૧.૨૦૨૧ ના દિવસે જામનગર તાલુકાના જામ વંથલી ગામ માં પોતાની ફરજ પર હતા, અને જેટકો કંપની ના ટ્રાન્સફોર્મર ને રિચાર્જ કરવાનું કામ કરી રહયા હતા.જે દરમિયાન અકસ્માતે ટ્રાન્સફોર્મર માં બ્લાસ્ટ થયો હતો. કેપેસીટર ફાટવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.
જેમાં લાઇનમેન માલશીભાઇ ૬૦ ટકા શરીરના ભાગે ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા. જેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નવ દિવસની સારવાર પછી તેઓનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ ને લઈને વીજ તંત્રમાં તેમજ મૃતકના પરિવાર માં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર મયુર માલસીભાઈ ડગરા એ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક વીજ કર્મચારી ના પત્ની નું એપ્રિલ માસમાં કોરોના ના કારણે અવસાન થયું હતું, ત્યાર પછી તેઓનું પણ મૃત્યુ નીપજતાં તેઓના ચાર સંતાનોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.




