જામનગર: જોડિયા તાલુકાના લીંબુડા ગામે ભાજપ સામે વિરોધના બેનરો, ખાનગી વીજ લાઈન મુદ્દે ખેડૂતોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Farmers Protest In Jamnagar: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ખાનગી કંપનીની વીજ લાઈનના પ્રશ્ને ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્ર અને શાસક પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરતાં ગ્રામજનોએ ગામમાં ભાજપ સામે વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા છે. આ બેનરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર કે મત માંગવા માટે ગામમાં ન આવવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
પાક અને જમીનને નુકસાન છતાં સુનાવણી નહીં
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખાનગી કંપનીની વીજ લાઈન ખેતરોમાંથી પસાર થતાં ખેડૂતોને પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં શાસક પક્ષ અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેતપુર ખેડૂત સત્યાગ્રહને સમર્થન
ખેડૂતોએ જેતપુર ખાતે ચાલી રહેલા ખાનગી વીજ લાઈન વિરોધી ખેડૂત સત્યાગ્રહને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે, 'જ્યાં સુધી વીજ લાઈનનો પ્રશ્ન ઉકેલાશે નહીં અને સત્યાગ્રહની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરો ગામમાં પ્રચાર કરવા કે સમર્થન માંગવા આવે નહીં.'
આ વિરોધના ભાગરૂપે ગામમાં લગાવવામાં આવેલા બેનરો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, 'અમારા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી દેખાવો યથાવત રહેશે.'









