Gujarat

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય આપવા માટે પદયાત્રા યોજાઈ

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય આપવા માટે પદયાત્રા યોજાઈ

- શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા સંવેદનહીન સરકાર ના બેનર પોસ્ટરો સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

જામનગર, તા. 07

જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોરોનામાં મૃત્યુ પામેલા ના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયની માંગ સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી, અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઇ વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.


ગુજરાતમાં કોરોના ની લહેર દરમિયાન અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા માત્ર અમુક મૃતકોના પરિવારને જ 50 હજાર રૂપિયાની સહાય આપી છે, જે ખૂબ જ ઓછી છે અને મૃતકના પરિવાર માટે મજાક સમાન છે. ઉપરાંત મૃતક ના સાચા આંકડા પણ છુપાવ્યા છે. ગુજરાતની સંવેદનહિન સરકાર અને એક તરફ કોરોના નો માર, ઉપરથી મોંઘવારી નો ભાર, હવે કંઈક તો શરમ કરો સરકાર, તેવા બેનરો પોસ્ટરો સાથે કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા અને શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગી અગ્રણીઓ કોર્પોરેટર વગેરેની હાજરીમાં શરુસેક્શન રોડ પરથી પદયાત્રા કાઢવામાં આવી હતી, અને જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ કોરોના મૃત્યુ પામેલા લોકોને રૂપિયા 4 લાખની સહાય આપવાની માગણી કરાઈ છે.


આ અગાઉ ત્રણ વખત માંગણી કરાઈ ચૂકી છે, પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આજે સતત ચોથી વખત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.