Gujarat

જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના ઘર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના ઘર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી

જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ કોરોના સંક્રમિત બની ગયા છે, અને 1 તેઓને ઓમીક્રોન ના શંકાસ્પદ દર્દી ગણીને જામનગરની જી.જી હોસ્પિટલ ના અલાયદા વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારની પાંચ વ્યક્તિ સહિત દસને 14 દિવસ માટે હોમ આઇશોલેશન માં મુકી દેવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાએ કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દીધો છે. સાથોસાથ 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જામનગરના મોરકંડા રોડ પર પોતાનું સાસરુ ધરાવતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ ઝિમ્બાબ્વેથી ટ્રાવેલ કરીને દુબઈ અને દુબઇથી અમદાવાદ તેમજ અમદાવાદ થી બાય રોડ 28મી તારીખે જામનગર આવી પહોંચ્યા હતા. જેઓ ના નામ ની યાદી જામનગર મહાનગરપાલિકા ને મળી હતી, જેથી આરોગ્ય વિભાગની ટૂકડી વિદેશથી આવેલા નાગરિકનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

દરમ્યાન તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો. જોકે તેઓ હાલ સ્વસ્થ છે. પરંતુ ઓમીક્રોન ના શંકાસ્પદ દર્દી ગણી ને ડેન્ટલ હોસ્પિટલ માં અલગથી રાખવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર ચલાવવામાં આવી રહી છે. જોકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઓક્સિજનની કે જરૂરત રહેતી નથી.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી આ કેસ સામે આવ્યા પછી દોડતી થઈ છે, મ્યુનિ.કમિશનર, અને ડેપ્યુટી કમિશનરની રાહબરી હેઠળ આરોગ્ય વિભાગની ટીમની તાકીદની બેઠક યોજાયા પછી મોરકંડા રોડ પર આરોગ્ય વિષયક પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં દર્દી રહે છે, તે મકાન અને આસપાસના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવી દેવાયો છે. 

જોકે સ્ટીકર લગાવાયું નથી. કુલ 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાયા હતા, જોકે તમામના આર. ટી.પી. સી. આર. ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે દરદીના રિપોર્ટ પુના મોકલાવ્યો છે. જેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.