Jamnagar

જામનગર રામેશ્વર નગરમાં રૂ.5 લાખની ઉઘરાણીના મામલે ડ્રાઇવર પર જીવલેણ હુમલો: પોલીસ ફરિયાદ નોંધાવાઈ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં રૂ.5 લાખની ઉઘરાણી મુદ્દે એક ડ્રાઇવર પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગાયત્રીનગરના જયપાલસિંહ ચુડાસમાને મહિપાલસિંહ રાણા, વિક્રમસિંહ રાણા અને 2 અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ, ધોકા અને છરી વડે માર માર્યો હતો. હુમલામાં જયપાલસિંહના બંને પગ અને હાથમાં ગંભીર ઇજાઓ થતાં તેઓ હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર રામેશ્વર નગરમાં રૂ.5 લાખની ઉઘરાણીના મામલે ડ્રાઇવર પર જીવલેણ હુમલો: પોલીસ ફરિયાદ નોંધાવાઈ

Jamnagar: જામનગરમાં રૂ.5 લાખની ઉઘરાણીના મામલે એક ડ્રાઇવર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી બંને પગ તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. હુમલામાં ઘવાયેલા જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (ઉ.વ.42, રહે. ગાયત્રીનગર, શેરી નં.૩, સમેશ્વરનગર, જામનગર) હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફરિયાદ મુજબ, જયપાલસિંહે આશરે એક વર્ષ પહેલાં પોતાના મિત્ર મહીપાલસિંહ એ. રાણાને રૂ. 5 લાખ આપ્યા હતા. આ રકમ પરત મેળવવા માટે તેઓ અવારનવાર ફોન તથા રૂબરૂ ઉઘરાણી કરતા હતા. તા.13 ઓગસ્ટના રોજ બપોરે મહીપાલસિંહે ફોન કરી પોતાની રાણા એન્ટરપ્રાઇઝની ઓફિસે બોલાવતાં જયપાલસિંહ એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યા હતા. જોકે, ઓફિસ બંધ હોવાથી તેઓ બહાર ઊભા હતા.

તે દરમિયાન મહીપાલસિંહ રાણા સફેદ રંગની હાઇરાઇડર કાર તથા તેનો ભાઈ વિક્રમસિંહ રાણા અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે ત્યાં આવ્યા હતા. આરોપીઓના હાથમાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા હતા. ફરિયાદ મુજબ, મહીપાલસિંહે છરી જેવી વસ્તુ વડે જયપાલસિંહના જમણા હાથમાં ઘા કર્યો હતો, જ્યારે વિક્રમસિંહે લોખંડના પાઇપ વડે ડાબા પગના ઘૂંટણના ભાગે ફટકો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા.

ત્યારબાદ મહીપાલસિંહે સાથીઓને ‘આના બંને પગ ભાંગી નાખો, આખી જિંદગી ચાલવો ન જોઈએ’ તેમ કહેતાં વિક્રમસિંહ તથા બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે બંને પગના ઘૂંટણ નીચેના ભાગે તેમજ ડાબા હાથમાં આડેધડ માર માર્યો હતો. હુમલામાં જયપાલસિંહને બંને પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હતી.

જયપાલસિંહે દેકારો કરતાં મિત્ર દિવ્યરાજસિંહ જેઠવા દોડી આવતાં ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ દિવ્યરાજસિંહે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને પત્ની ભાવનાબા સાથે તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમ.એલ.સી. નં.8668/2026 હેઠળ સારવાર દરમિયાન તબીબોએ પગમાં ફ્રેક્ચર હોવાનું તથા હાથમાં પણ ફ્રેક્ચર થતાં ઓપરેશનની જરૂર હોવાનું જણાવ્યું હતું. જોકે, ફરિયાદી ડાયાબીટીસની બિમારીથી પીડાતા હોવાથી હાથનું ઓપરેશન હાલ કરવામાં આવ્યું નથી.

રૂ.૫ લાખ પરત માંગતા હોવાથી મહીપાલસિંહે મનદુઃખ રાખી ભાઈ તથા બે અજાણ્યા શખ્સો સાથે મળી પાઇપ, ધોકા અને છરી વડે હુમલો કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.